ગુજરાત સરકારે સ્વીકાર્યું: 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોમાં પાક ધોવાયો, મગફળી, કપાસના સૌથી વધુ નુકસાનની ભીતિ

ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સરેરાશ 4 ઈંચ જેટલો કમોસમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કમોસમી વરસાદને પગલે સરકારના પ્રાથમિક અંદાજ મુજબ 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોના ખેતીના પાકને નુકસાન થયું છે. આ નુકસાનની સામે હાલની સ્થિતિએ 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. છેલ્લા એકસ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 6 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 3.25 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 1.75 ઈંચ જ્યારે કચ્છમાં 1.70 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.
માવઠાને પગલે સૌરાષ્ટ્રમાંથી મગફળી જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી કપાસના પાકને સૌથી વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતમાં 28 ઓક્ટોબરની સ્થિતિએ 84,94,390 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયેલું હતું. જેની સરખામણીએ ગયા વર્ષે આ સમયગાળામાં 84,88,874 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયેલું હતું. આમ આ વર્ષે ખરીફ પાકના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો હતો.
પરંતુ હવે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. આ વર્ષે મગફળીનું સૌથી વધુ 22.02 લાખ, કપાસનું 20.59 લાખ અને ઘાસચારાનું 9.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્ર 37.71 લાખ ઉત્તર ગુજરાતમાં 18.08 લાખ, દક્ષિણ ગુજરાતમાં 7.10 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું હતું. આ વર્ષે અત્યારસુધી ધાન્ય પાકોનું 13.81 લાખ, કઠોળ પાકોનું 32.04 લાખ, તેલીબીયાં પાકોનું 32.04 લાખ અન્ય પાકોનું 34.43 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું. રાજ્ય સરકારના પ્રાથમિક તારણ અનુસાર માવઠાથી 10 લાખ હેક્ટર ખેતીનું નુકસાન થયું છે.
આ પણ વાંચો, http://ગાંધીનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે લોડીંગ રીક્ષાને અડફેટે લીધી, 5 લોકો ઈજાગ્રસ્ત



