અમદાવાદમાં દાંડીકૂચ માટે નીકળેલા કોંગ્રેસી નેતાઓની અટકાયત
અમદાવાદમાં મંજૂરી વિના દાંડીકૂચ કરતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રવક્તા મનિષ દોશી સહિત તમામ મોટા નેતાઓની અટકાયત કરીને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા. પરેશ ધાનાણીની પણ અટકાયત કરી દેવાઈ છે. આ સાથે પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કોંગ્રેસની કૂચને અટકાવવા પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો છે.
પોલીસ અટકાયત બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, પોલીસ અત્યાચાર કરી રહી છે. શું ગુજરાતમાં ગાંધીપથ પર ચાલવાનો અધિકાર નથી. સાથે અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર પોલીસનો આશરો લઇ રહી છે. લોકશાહી બચાવવા કોંગ્રેસ લડતી રહેશે. દેશ અંગ્રેજો સામે ઝૂક્યો ન હતો તો સત્તા સામે પણ ઝૂકશુ્ં નહીં.
કોંગ્રેસની દાંડીકૂચને રોકવા માટે પોલીસના કાફલા ઉતારી દેવાયા હતા. તો સાથે મહિલા પોલીસનો પણ મોટો સ્ટાફ કોંગ્રેસ ભવન પહોંચી ગયો હતો. જ્યાં મહિલા કોંગ્રેસના સંગઠન દ્વારા પણ આ દાંડી કૂચ કરવામાં આવી રહી હતી. ત્યારે મહિલા કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને મહિલા પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ગાંધી આશ્રમ ખાતે આઝાદીના અમૃત મહોત્વનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદીની હાજરી પણ હતી. PM મોદીના ગુજરાત પ્રવાસને કારણે જ, શહેરમાં ઠેર-ઠેર પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ દાંડી કૂચ યાત્રાનું આયોજન કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓને સવારથી જ નજર કેદ કરી લેવાયા હતા. કોંગ્રેસ ભવનની બહાર મોટી સંખ્યામાં પોલીસની વેન પહોંચી ગઈ હતી. અને પોલીસના કાફલા ધડાધડ ઉતારી દેવાયા હતા.
12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. જેના 90 વર્ષ પૂરા થયાની યાદમાં આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં PM મોદીએ લોકલ ફોર વોકલ ચરખાનું લોકાર્પણ કર્યું છે. હેસટેગ સાથે ટ્વિટ કરતા ચરખો ફરશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસી નેતાઓ પણ આજે દાંડીયાત્રા કરવા માટે નીકળ્યા હતા. પરંતુ કોંગ્રેસ ભવનખાતેથી કોંગ્રેસના નેતાઓ નીકળે તે પહેલા જ અટકાયત કરી લેવાઈ હતી.