વાયુસેનાના કાફલા પર PAFFના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. PAFFએ ગયા વર્ષે પણ આવો જ હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે, આતંકવાદીઓ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં ત્રણ અઠવાડિયામાં મતદાન થવાનું છે. રવિવાર (5 મે) સવારથી જ પુંછના જંગલોમાં આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ ચેકપોઇન્ટ ગોઠવી છે અને વિસ્તારમાં ચેકિંગ ચાલુ છે. ભારતીય સેનાના વધારાના દળો શનિવારે મોડી રાત્રે પૂંચમાં જરા વાલી ગલી (JWG) પહોંચ્યા જે સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પુંછમાં ઘાતકી હુમલો કરનાર આતંકવાદી સંગઠને ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. એરફોર્સના કાફલા પર હુમલા પછી અધિકારીઓને આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણીની શંકા હતી જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે નજીકના બફલિયાઝમાં સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.



