‘સોગંદનામું કેમ રજૂ ના કર્યું?’ રખડતા શ્વાન મામલે રાજ્યોના મુખ્ય સચિવોને સુપ્રીમમાં હાજર થવા આદેશ

દેશભરમાં રખડતાં શ્વાન મામલે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા સોગંદનામું દાખલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આદેશ આપ્યા બાદ પણ શ્વાન કરડી જવાની અનેક ઘટનાઓ બની રહી છે, વિદેશમાં પણ દેશની છબિ ખરાબ થઈ રહી છે. તેમ છતાં રાજ્યોએ અનુપાલનનું સોગંદનામું રજૂ કર્યુ નથી. કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવને આ અંગે જાણ કરી ત્રણ નવેમ્બર સુધી જવાબ આપવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ઑગસ્ટમાં દેશભરના રખડતાં શ્વાનને પકડી, તેમનું ખસીકરણ કરી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. તેના અનુપાલન માટે રાજ્ય અને કેન્દ્રશાસિત સરકારને સોગંદનામું રજૂ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 22 ઑગસ્ટના આદેશ અનુસાર માત્ર 3 અનુપાલનના સોગંદનામા દાખલ કર્યા છે. જેમાં પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી સામેલ છે. જો કે, અન્યોએ અમારા આદેશનું પાલન કર્યું નથી. તેમણે હાજર થવું પડશે. કારણકે, ત્રણ મહિના થયા હોવા છતાં અનુપાલનના સોગંદનામા દાખલ કર્યા નથી. તેમણે આવીને સ્પષ્ટતા આપવી પડશે. તેમણે સોંગદનામું રજૂ કરવું પડશે.
સુપ્રીમ કોર્ટના મહત્ત્વના આદેશ
સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆર સાથે જોડાયેલા રખડતાં શ્વાન મામલે 22 ઑગસ્ટના ચુકાદો આપતાં તેનો અમલ રાજ્યભરમાં કરવા કહ્યું હતું. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશના અમલ પર સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સિવાય અન્ય રાજ્યો પાસેથી કોઈ જવાબ કે પ્રતિક્રિયા ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી. તેણે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને 3 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં હાજર થઈ સ્પષ્ટતા આપવા સૂચન કર્યું છે. જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું હતું કે, આ મામલે વિદેશમાં ભારતની છબિ ખરાબ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ રાજ્યના આ વલણથી નારાજ છે. જરૂરિયાત પર ઓડિટોરિયમમાં કેસ ચલાવવામાં આવશે.



