CoronaGujarat

રાજ્યવાસીઓ તડપે છે ને સરકાર અન્ય રાજ્યોને લ્હાણી કરતી ફરે છે!:રૂપાણી સરકારની વિનંતી છતાં કેન્દ્વએ 1400 ટન ઓક્સિજન સામે માત્ર 975 ટન આપ્યો

ગુજરાતની હાલની દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,400 મેટ્રિક ટનની છે અને તે 15 મે સુધીમાં વધીને 1,600 મેટ્રિક ટને પહોંચશે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાલ માત્ર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો જ ગુજરાતને ફાળવવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓ મોટુ અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.

મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

એક તરફ ગુજરાત ઓક્સિજન માટે વલખા મારે છે બીજી તરફ કેન્દ્ર દ્વારા છેલ્લા 4 દિવસથી દિલ્હી માટે 545 ટન જેટલો લીકવીડ ઓક્સિજનનો જથ્થો દિલ્હી મોકલાયો છે. છેલ્લા 4 દિવસમાં ઓક્સિજન લઈને કુલ પાંચ ટ્રેનો દોડાવવામાં આવી હતી. 4 મેના રોજ બે ટ્રેનોમાં 244 ટન, પાંચમી અને છઠ્ઠીએ 104 ટન તથા શુક્રવારે 92.97 ટન લિકવીડ ઓક્સિજન દિલ્હી મોકલાયો છે. નોંધનીય છે કે ગુજરાતમાંથી દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાન વગેરે રાજયોને ઓક્સિજન પહોચાડવા માટે કુલ 9 ટ્રેનો દોડાવાઈ હતી. જેમાં અત્યારસુધી કુલ 734.39 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યુ છે.

સૌથી ગંભીર બાબત ટાંકતા મુકીમે જણાવ્યું કે જો ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તો ગુજરાતમાં 11,500 ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર સુવિધાઓ મળી શકે તેમ છે. અમારી પાસે હોસ્પિટલોમાં પથારીઓ અને તબીબો તેમજ સ્ટાફ છે, પરંતુ ઓક્સિજન ન હોવાને કારણે અમારે દર્દીઓને સારવાર આપવાની ના પાડવી પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button