મોદી સરકારે 8મા પગાર પંચની રચનાને આપી મંજૂરી, 1 કરોડથી વધુ કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી દીધી છે. આજે ઔપચારિક રૂપે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે. જે દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ આપશે. સ્ટાફ સાઈડ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત કર્યાના દસ મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે. જો કે, આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે, આઠમું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી, 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયર 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે.
હાલમાં જ સેન્ટ્રલ સેક્રેટરેટ સર્વિસ ફોરમ (CSSF)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આઠમા પગાર પંચ મામલે ઝડપથી કામગીરી કરવા દબાણ કર્યું હતું. કર્મચારી યુનિયને નોંધ્યું હતું કે, સાતમા પગાર પંચની રચના તેના અમલના બે વર્ષ પહેલાંથી જ શરૂ થઈ ગઈ હતી. તેના અમલ પહેલાં તેમાં વ્યાપક રિસર્ચ અને ભલામણો લેવા પર્યાપ્ત સમય લેવામાં આવ્યો હતો. પરંતુ આઠમું પગાર પંચ જાન્યુઆરી, 2025થી લાગુ થઈ રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી તે સંદર્ભે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.



