દિલ્હીના જંતર-મંતર પર બબાલ:’ભૂખ હડતાળ પર બેઠેલા અભિજિત દીપકે પર મહિલાએ શાહી ફેંકી, થપ્પડ મારવાનો પ્રયાસ’

 દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા અને શનિવારથી જ ભૂખ હડતાળ પર બેઠેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજિત દીપકે પર એક મહિલા દ્વારા સ્યાહી (શાહી) ફેંકવામાં આવી છે. આ ઘટનાને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરી અને હોબાળો મચી ગયો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે દીપકે જ્યારે પ્રદર્શન સ્થળે હાજર પોતાના સમર્થકો અને લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ એક મહિલા અચાનક તેમની નજીક પહોંચી હતી અને તેમના પર શાહી ફેંકી દીધી હતી.

આરોપ છે કે મહિલાએ શાહી ફેંકવાની સાથે-સાથે અભિજિત દીપકેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટના બનતાની સાથે જ ત્યાં હાજર આંદોલનના વોલન્ટિયર્સે ત્વરિત કાર્યવાહી કરીને એ મહિલાને ઝડપી લીધી હતી. શનિવારે સવારથી જ જંતર-મંતર પર ભારે ગહમાગહમીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારે જ પોલીસે 21 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને ત્યાંથી હટાવી સફદરજંગ હોસ્પિટલ ભેગા કર્યા હતા, જેમના ગયા બાદ તુરંત જ અભિજિત દીપકેએ આંદોલન ચાલુ રાખવા માટે પોતે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસવાની જાહેરાત કરી હતી. દીપકેની સાથે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના કાર્યકર્તાઓ નેહા, આમીન અને મનીષ પણ ભૂખ હડતાળ પર બેઠેલા છે.

શા માટે ચાલી રહ્યું છે આ આંદોલન?

સામાજિક અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને આ વિવાદના કારણે કેટલાક વિદ્યાર્થીઓના થયેલા કથિત મોતના વિરોધમાં 28 જૂનથી ‘કોકરોચ જનતા પાર્ટી’ (કોજપા) ના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં 21 દિવસથી ભૂખ હડતાળ પર હતા. શનિવારે સવારે તેમની તબિયત લથડતાં દિલ્હી પોલીસે હાઈકોર્ટના નિર્દેશો અને મેડિકલ સલાહના આધારે તેમને સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓને શાંતિપૂર્વક આ સ્થળ ખાલી કરવા અપીલ કરી છે, જ્યારે દીપકેએ પોલીસ પર તેમની સાથે મારપીટ કરવાનો અને કસ્ટડીમાં લેવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *