અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના કમકમાટીભર્યા મોત, 15 ઈજાગ્રસ્ત

અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાય છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 18 જુલાઈ, 2026ના બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સમગ્ર ઘટનાને પગલે અસલાલી-મીની ફાઇટર, ગજરાજ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે.

ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોમાંથી 5ને એલજી હોસ્પિટલ અને 4 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં મેયર, કમિશનર સ્થળ પર પહોંચ્યા છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું જણાય છે.

પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *