દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર

અભિનેતા ધર્મેંદ્રને લઈ દુખદ સમાચાર છે.  દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.  હી-મેન તરીકે જાણીતા અભિનેતાના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ધર્મેંદ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. તેમની ઘરે સારવાર ચાલી રહી હતી અને હવે તેમનું નિધન થયું છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી

ધર્મેન્દ્રને 31  ઓક્ટોબર, 2025 ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 10  નવેમ્બરના રોજ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલમાં ગયો. 

તેમણે 1960  માં ફિલ્મ “દિલ ભી તેરા હમ ભી તેરે” થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ 1961  માં આવેલી ફિલ્મ “બોય ફ્રેન્ડ” માં સહાયક ભૂમિકામાં દેખાયા. ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા, અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધર્મવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગ્નુ (1973), અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

2023માં આવેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેમના પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે આ ફિલ્મમાં શબાના આઝમીને કિસ કરી હતી.  જે સતત ચર્ચામાં રહ્યું હતું.  તેઓ 2024 માં રિલીઝ થયેલી તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયામાં પણ દેખાયા હતા.

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 

ધર્મેન્દ્રએ 89 વર્ષની ઉંમરે પણ કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમના અવસાન પછી, તેમની છેલ્લી ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. તેઓ ફિલ્મ ’21 ‘માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ધર્મેન્દ્રના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે બે લગ્ન કર્યા. તેમના પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા. તેમને ચાર બાળકો છે: સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ.

તેમના બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે થયા હતા. પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો, તેથી ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને ફરીથી લગ્ન કર્યા. હેમા માલિનીથી તેમને બે પુત્રીઓ છે: ઈશા દેઓલ અને આહના દેઓલ.

આ પણ વાંચો, http://ઉત્તરાખંડમાં 70 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી, 5 ગુજરાતીઓના મોતની આશંકા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *