PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન

વડોદરામાં આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાનના હસ્તે રૂ. 35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. શહેરના આ કાર્યક્રમને ‘નમો ફોર વિકસિત ભારત’ નામ આપવામાં આવ્યું છે, જે “વડોદરાથી વારાણસી અને વારાણસીથી વિકાસ”ના સ્લોગન સાથે યોજાશે. 8 સપ્ટેમ્બરે સવારે 10:30 કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન લોકો સાથે સીધો સંવાદ કરી શકે તે પ્રકારનું સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા તમામ તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને આ ઐતિહાસિક દિવસનો હિસ્સો બનવા અને પોતાની સીટ રજીસ્ટર કરવા અપીલ કરી હતી.
મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ માટે ‘બુક માય શો’ (BookMyShow) એપ્લિકેશન થકી 5 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને લોકોમાં એવો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો કે રજીસ્ટ્રેશન શરૂ થયાના માત્ર એક જ કલાકમાં કેપેસિટી પ્રમાણેનું તમામ બુકિંગ પૂર્ણ થઈ ગયું હતું. સીટો મર્યાદિત હોવાથી લગભગ 36 હજાર જેટલા લોકો રજીસ્ટ્રેશન કરાવવાથી વંચિત રહી ગયા હતા. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, જે લોકો આ વખતે રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા તેઓને આગામી સમયના કાર્યક્રમોમાં ચોક્કસથી સમાવવામાં આવશે.
વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. એરપોર્ટથી લઈને કાર્યક્રમ સ્થળ (પેવેલિયન) સુધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની સુરક્ષા માટે 11 ડીસીપી (DCP), 17 એસીપી (ACP) અને 2 હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરના સંવેદનશીલ સ્થળો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.