અદાણી વિરુદ્ધ 2000 કરોડની લાંચ-છેતરપિંડી કેસમાં અમેરિકાની કોર્ટે આપ્યો આ આદેશ

અમેરિકામાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાહિત અને લાંચના કેસની સુનાવણી અને ચુકાદો એક જ જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન તેમજ ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે અદાણી ગ્રૂપના કેસની અસરકારક અને સચોટ ચુકાદા માટે એક જ જજ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે.

અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી બોર્ડના સભ્યો, પ્રમોટર્સ વિરૂદ્ધ 265 મિલિયન ડોલર (રૂ. 2000 કરોડ)ની લાંચનો આરોપ મૂકાયો છે. તેમજ અમેરિકાના રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ કેસ દાખલ થયો છે. આ બંને સિવિલ અને ક્રિમિનલ કેસની સુનાવણી એક જ જજ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી બંને કેસોની અલગ-અલગ તારીખની પ્રતિકૂળ અસરો ન પડે તેમજ અસરકારક નિર્ણય લઈ શકાય.
આ જજ આપશે ચુકાદો

અદાણી ગ્રૂપ વિરૂદ્ધ સિવિલ અને ક્રિમિનલ કેસનો ચુકાદો અને સુનાવણી યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ગરૌફીસ સંભાળશે. પરંતુ બંને કેસને અલગ અલગ સાંભળવામાં આવશે. બંને કેસના ચુકાદા અને આદેશ પણ અલગ અલગ રહેશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સ્પષ્ટતા કરી છે કે, બંને કેસોની સંયુક્ત સુનાવણી કે ચુકાદો અપાશે નહીં.ગતવર્ષે નવેમ્બરમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા વિરૂદ્ધ છેતરપિંડી તેમજ અદાણી ગ્રીન એનર્જી માટે નવો કોન્ટ્રાક્ટ મેળવવા ભારતના અમુક સરકારી અધિકારીઓને 265 મિલિયન ડોલરની લાંચ આપી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, અદાણી ગ્રૂપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

એન.ચંદ્રબાબુ નાયડૂએ કાર્યવાહીનો ઈનકાર કર્યો

265 મિલિયન ડોલરની લાંચના આરોપમાં આંધ્રપ્રદેશનું નામ પણ બહાર આવ્યું હતું. જો કે,  રાજ્યના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ ગત ગુરૂવારે જ આ મુદ્દે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપ વિરૂદ્ધ મૂકવામાં આવેલા આરોપોના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં. વધુમાં અદાણી ગ્રૂપ વિરૂદ્ધ આરોપો મૂકનારા યુએસ એટર્ની બ્રેઓન પીસે થોડા સપ્તાહ પહેલાં જ રાજીનામુ આપી દીધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *