Indian Railways: એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત

ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે, જે લોકો IRCTC એપ પર આધાર લિંક નથી ધરાવતા તેઓ તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.
રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય બધા માટે તત્કાલ ટિકિટોની સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરવાનો અને દુરુપયોગને રોકવાનો છે. તેમણે કહ્યું હતું કે, ‘1 જૂલાઈથી IRCTC ની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ માટે જ ઉપલબ્ધ થશે.’ 15 જૂલાઈથી OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત બનશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે X પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘વાસ્તવિક યુઝર્સ માટે તત્કાલ ટિકિટિંગને વધુ સુલભ બનાવવામાં આવી છે. 1 જૂલાઈ, 2025થી IRCTC-વેબસાઇટ/એપના માધ્યમથી તત્કાલ બુકિંગ ફક્ત આધાર પ્રમાણિત યુઝર્સ માટે જ માન્ય છે. 15 જૂલાઈ, 2025થી OTP આધારિત આધાર વેરિફિકેશન. PRS કાઉન્ટર/અધિકૃત એજન્ટો (YTSK) પર તત્કાલ બુકિંગ માટે બુકિંગ કરનાર વ્યક્તિના મોબાઇલ પર OTP વેરિફિકેશન મોકલવું જરૂરી રહેશે. અધિકૃત એજન્ટો ઓપન થયાના 30 મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં.’
તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાથી હવે ગેરકાયદેસર અને નકલી ID ધરાવતા યુઝર્સ પર અંકુશ લગાવી શકાશે. ઉપરાંત, એજન્ટો અંગે લેવામાં આવેલા નિર્ણયોથી મુસાફરોને ફાયદો થવાની અપેક્ષા છે. રેલવે દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, હવે અધિકૃત એજન્ટો તત્કાલ વિન્ડો ખુલ્યા પછી ૩૦ મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. એટલે કે, એજન્ટો સવારે 10 થી 10:30 વાગ્યાની વચ્ચે એસી તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં, તેવી જ રીતે સ્લીપર ટિકિટ પણ સવારે 11:30 વાગ્યા પછી જ બુક કરવામાં આવશે.
આ પણ વાંચો, Ministry of Finance: શું હવે UPI પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ