Surat: ત્રીજીવાર પીએમ બન્યા બાદ મારી સુરતની પ્રથમ મુલાકાત: PM મોદી

PM મોદી આજે 7 માર્ચથી બે દિવસીય ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના રૂ. 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને જાહેરસભાને સંબોધિત કરી હતી. જ્યાંથી તેઓ પરત સુરત આવી પહોંચ્યા છે. સુરતમાં પર્વત પાટીયાથી લિંબાયત સુધીનો રોડ શો યોજી નીલગિરિ મેદાન આયોજીત સભાના સ્થળ પર પહોંચ્યા હતા. વડાપ્રધાને રોડ શોના રૂટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
સુરતમાં સભાને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે,મારું સદભાગ્ય છે કે આજે દેશની જનતાએ અને ગુજરાતે મને ત્રીજી વખત સેવા કરવાનો અવસર આપ્યો અને એના પછી મારી સુરતની આ પ્રથમ મુલાકાત છે. ગુજરાતે જેને ઘડ્યો તેને દેશે વ્હાલથી અપનાવ્યો. 10 વર્ષ પહેલા 5 કરોડથી વધુ બોગસ રાશનકાર્ડ હતા. જેનો જન્મ પણ નહોતો થયો તેવાના રાશનકાર્ડ બની જતા હતા. અમે પાંચ કરોડો બોગસ નામોને સિસ્ટમથી દૂર કર્યા. રાશન સાથે જોડાયેલી સંપૂર્ણ વ્યવસ્થાને આધારકાર્ડ સાથે લિંક કર્યા. અમે રાશનકાર્ડ સાથે જોડાયેલી એક મોટી સમસ્યાનો હલ કર્યો. અન્ય રાજ્યમાંથી આવેલા લોકો અહીં મોટી સંખ્યામાં કામ કરે છે. પહેલા એક જગ્યાનું રાશનકાર્ડ બીજી જગ્યાએ નહોતું ચાલતું. અમે આ સમસ્યાનું સમાધાન કરી વન નેશન વન રાશનકાર્ડ લાગુ કર્યું. હવે રાશનકાર્ડ ગમે ત્યાંનું હોય લાભાર્થીને તેનો ફાયદો દેશના દરેક શહેરમાં મળે છે.
આ પણ વાંચો, સેલવાસમાં નરેન્દ્ર મોદીના હસ્તે નમો હોસ્પિટલ સહિત 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ