PM મોદીની ફરી અપીલ : ‘ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો’

રવિવાર રાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તે દિવસ રાત્રે PM મોદીએ જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી PM મોદીએ ગઇ કાલે સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3ના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદીને ‘સરદાર ગૌરવ રત્ન’ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુઓ PM મોદીનું સંબોધન
‘સરદારધામ-3’ની ખાસિયતો
- વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ
- 4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ
- 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ
- દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી
વડાપ્રધાને સરદારધામના લોકાર્પણ બાદ રોડ શોના માધ્યમથી ગેંદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી જાહેર યાત્રા કરીને લોક અભિવાદન કર્યુ હતું, જેમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા જનનાયકને ભારે ઉત્સાહ સાથે આવકાર્યા હતા. અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ ઐતિહાસિક માર્ગ પર વડોદરાવાસીઓમાં PM મોદીની ઝલક જોવા અને તેમનું અભિવાદન કરવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.
હૈદરાબાદ બાદ ગઇકાલે વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું કે જ્યાં સુધી સામાન્ય સ્થિતિ ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરો, ઑફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, ભારતમાં પ્રવાસને મહત્ત્વ આપો, વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, શાળાઓ પણ ઓનલાઇન ક્લાસીસને મહત્ત્વ આપો. આ નાના નાના પ્રયાસ જો 140 કરોડ લોકો એક સાથે અનુસરે તો રાષ્ટ્રની તાકાત વધશે. જેનાથી આવેલું સંકટ ભારતની પ્રગતિ અને વિકાસને અવરોધે નહીં.
‘બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્ત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે’
‘તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. જ્યારે ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે તે સમાજની સામુહિક તાકાતથી જ થાય છે. વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ રહ્યો છે આજનો આ દિવસ પુણ્ય પર્વથી ઓછો નથી’