Pahalgam terrorist attack: પહલગામ હુમલા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું – ‘ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની કાપલી કેમ ન કાઢી’

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશભરમાંથી પ્રતિક્રિયાઓ અને સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે જ્યોતિષ અને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ મોટું નિવેદન આપ્યું છે અને કેન્દ્ર સરકારની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું કે, સરકારે પહેલા પોતાના દેશમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં સુધી આપણે આપણી અંદરના દુશ્મનોને ઓળખી નહીં લઈએ ત્યાં સુધી દેશની સુરક્ષા પર માત્ર વાતો જ ચાલશે.
તેમણે પહલગામ હુમલાની ઘટના અંગે સવાલ ઉઠાવતા કહ્યું કે આતંકવાદીઓ દેશમાં કેવી રીતે ઘૂસ્યા? તેઓ ૪૦ મિનિટ સુધી લોકોને મારતા રહ્યા અને પછી સરળતાથી ભાગી ગયા. તેમણે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ મોદી સરકાર પાસે કરી છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આટલી મોટી સુરક્ષા લેપ્સ કેવી રીતે થઈ તે અંગે અનેક સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી આઝાદીથી કેવી રીતે ફરતા હતા? તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે જ્યારે હુમલા પછી તરત જ આતંકવાદીઓના નામ અને તસવીરો ઉપલબ્ધ છે, તો આ માહિતી હુમલા પહેલા ગુપ્તચર એજન્સીઓ પાસે કેમ ઉપલબ્ધ ન હતી?
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યારે બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જ્યારે તેઓ દરેકની ‘કાપલી’ (સમસ્યા અને સમાધાનની ચિઠ્ઠી) કાઢે છે, તો પછી આતંકવાદી હુમલા કે આતંકવાદીઓની કાપલી કેમ ન કાઢી? આ અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કટાક્ષ કરતા કહ્યું કે, “અમે પણ આશા રાખીએ છીએ કે મહારાજ આતંકવાદીઓને પણ સ્લિપ આપે. અમને પણ (તેમની વિશે) જાણવા મળશે.”
તેમણે બાગેશ્વર ધામના મહારાજ પર વધુ કટાક્ષ કરતા કહ્યું કે બાગેશ્વર ધામના મહારાજ હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે. તેમણે જે ગામને હિન્દુ ગામ બનાવ્યું છે (જ્યાં તેઓ પોતે બિરાજમાન છે અને જે ગામ પહેલેથી જ હિન્દુ બહુમતી ધરાવતું છે), તે ગામમાં બાગેશ્વર મહારાજ પહેલેથી જ બિરાજમાન છે અને તે પોતે હિન્દુ છે, તો પછી તેને અલગથી હિન્દુ ગામ બનાવવાની શું જરૂર હતી.