મહારાષ્ટ્રમાં ખટપટ! એકનાથ શિંદેના આ નિર્ણય પર CM ફડણવીસે લગાવી રોક, આપ્યા તપાસના આદેશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની સરકારના નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા પૂર્વ સરકારમાં લીધેલાં ઘણાં નિર્ણયોને રોકી દીધા છે અને તેની માટે તપાસ આદેશ પણ આપ્યા છે. પૂર્વ સરકારમાં ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતાં અને પરિવહન વિભાગ ત્યારના મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે હતો. ફડણવીસે રદ કરેલાં નિર્ણય પણ શિંદેના વિભાગના જ છે. હકીકતમાં, શિંદેએ MSRTC માટે બસ ભાડે લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, હવે ફડણવીસે આ નિર્ણય પર ન ફક્ત રોક લગાવી છે પરંતુ, તેની તપાસના આદેશ પણ આપ્યા છે.
હવે રાજ્યમાં નવી મહાયુતિ સરકારનો કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ફડણવીસ દરેક વિભાગના કામની સમીક્ષા કરી રહ્યા છે, સાથે જ પહેલાં 100 દિવસના તેમના કાર્યકાળ માટે પોતાની યોજનાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેઓએ પ્રેઝન્ટેશન આપ્યા બાદ સોમવારે (30 ડિસેમ્બર) પરિવહન વિભાગનું નિરીક્ષણ કરતા સમયે શિંદેના નિર્ણયની સમીક્ષા કરવાની વાત કહી હતી. પરંતુ, હવે તેના પર રોક લગાવી તપાસના આદેશ આપી દીધા છે.
નોંધનીય છે કે, હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, મુખ્યમંત્રી ગત સરકારના બીજા નિર્ણયની પણ સમીક્ષા કરશે કે કેમ? વિપક્ષે ભાડા પર બસ લેવાની યોજનામાં 2800 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષ નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, આ વિષય પર અમને હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી મળ્યું. 2022માં MSRTCએ ઓઇલ સહિત 44 રૂપિયા પ્રતિ કિલોમીટરના હિસાબે બસ ભાડા પેટે લીધી હતી.
શિંદેના વિભાગની સમીક્ષા કરી નિર્ણય પર લગાવી રોક
વિભાગના પ્રેઝન્ટેશન દરમિયાન પરિવહન વિભાગના અધિકારીઓએ ફડણવીસને જણાવ્યું કે, MSRTC એ હાલમાં જ 1310 બસ ભાડે લેવા માટે ત્રણ ખાનગી કંપનીઓને આશય પત્ર આપ્યું હતું. જેમાં ઈંધણનો ખર્ચ બાદ કરતાં 34.70 રૂપિયાથી 35.10 રૂપિયા પ્રતિ કિમીની કિંમતે બસનું ભાડુ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. 2022માં MSRTC એ ઈંધણ ખર્ચ સહિત 44 રૂપિયે પ્રતિ કિલોની કિંમતે બસ ભાડાપેટે લીધી હતી.