પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના, યાત્રાધામોમાં દાનપેટી અસલામત!

અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને જોતા યાત્રાધામોમાં દાનપેટીની સલામતી સામે સવાલો ઉઠી રહ્યા છે. અંબાજીમાં દાનચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓ રોષે ભરાયાં છે. દાનચોરીની ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓને કડક સજા કરવા માંગ ઉઠી છે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં એપ્રિલ મહિનામાં દાન ચોરીનો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસમાં સીસીટીવી ફૂટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર 21 એપ્રિલના રોજ નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો જોવા મળ્યો હતો. 7 મેના રોજ ચિરાગ ઠાકોર રૂ. 1.04 લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને બહાર નીકળ્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થયા છે.

અંબાજી મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકી હતી. હવે દાન ગણતરીના પ્રક્રિયામાં વર્ગ 4 અને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને સંપૂર્ણપણે દૂર કરાયા છે. ભંડાર કક્ષમાં લગભગ 20 હાઇટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

દાન ચોરી બાદ તંત્રને જ્ઞાન આવતા દાન ગણતરીના પ્રક્રિયાનું મંદિર પરિસરની એલઇડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ કરાઈ છે. આ ઉપરાંત મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા દર અઠવાડિયે રૂબરૂ નિરીક્ષણ, કર્મચારીઓ માટે ફરજિયાત હાજરી રજિસ્ટર, મંજૂરી વગર રાત્રિ રોકાણ પર પ્રતિબંધ સહિત અનેક કડક નિયમો અમલમાં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *