હવે અંબાલાલ પટેલ વરસાદની આગાહી નહીં કરે, કહ્યું ”સપોર્ટ મળશે તો…”

ગુજરાતમાં વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે હવે તેઓ હાલ માટે વરસાદ અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે. તેમની આ જાહેરાત બાદ રાજ્યભરમાં ફરી એકવાર ચર્ચાનો માહોલ સર્જાયો છે. વર્ષોથી અંબાલાલ પટેલ પોતાની પરંપરાગત પદ્ધતિ અને વૈદિક જ્ઞાનના આધારે હવામાન અંગે આગાહીઓ કરતા આવ્યા છે, જેને લઈને લોકોમાં હંમેશા ઉત્સુકતા રહેતી આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમને દુઃખ પહોંચાડનારા છે. તેમના જણાવ્યા મુજબ આવા આક્ષેપો માત્ર તેમની વ્યક્તિ સામે નથી પરંતુ પરંપરાગત વૈદિક જ્ઞાન અને આપણા ઋષિમુનીઓના જ્ઞાન પર કુઠારાઘાત સમાન છે. તેમણે કહ્યું કે સદીઓથી ચાલતી આવતી પરંપરાગત જ્ઞાન પદ્ધતિને આ રીતે પ્રશ્નોના ઘેરામાં મૂકવી યોગ્ય નથી.
અંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારના વિવાદમાં પડવા માંગતા નથી. તેમના મતે વિવાદ કરતાં સમાજનું કલ્યાણ વધુ મહત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે વિવાદો વચ્ચે આગાહી કરવી યોગ્ય નથી અને તેથી તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.તેમણે લોકોના સમર્થન અંગે પણ મહત્વની વાત કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે જો તેમને લોકો તરફથી પૂરતું સમર્થન મળશે તો તેઓ ફરીથી વરસાદની આગાહી કરવાનો વિચાર કરશે. જોકે હાલની સ્થિતિમાં તેઓ કોઈપણ પ્રકારની આગાહી કરવા તૈયાર નથી. તેમના નિર્ણયને લઈને હવે લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.
અંબાલાલ પટેલે ફરી એકવાર દોહરાવ્યું કે તેઓ લોકકલ્યાણ માટે આગાહી કરતા હતા અને ભવિષ્યમાં પણ જો અનુકૂળ પરિસ્થિતિ રહેશે તથા લોકોનો વિશ્વાસ અને સમર્થન મળશે તો તેઓ ફરીથી પોતાની આગાહીઓ શરૂ કરી શકે છે. પરંતુ હાલમાં તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ વરસાદ અંગે કોઈ આગાહી કરવા માંગતા નથી.