માંજલપુર પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારીએ નામાંકન ભર્યું

વડોદરાની માંજલપુર વિધાનાસભાની પેટાચૂંટણીના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. બીજેપીએ આ બેઠક પર સતીષ પટેલને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ભીખા રબારીને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર પેટાચૂંટણીનું 30 જુલાઈએ મતદાન યોજાનાર છે. તેમજ 3 ઓગસ્ટે મતગણતરી થશે. નોધનીય છે કે, માંજલપુર વિધાનાસભાની બેઠક યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે.
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સતીષ પટેલે આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સતીષ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નોંધનીય છે કે પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી, જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ રહ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું. ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું કે કોંગ્રેસે સ્થાનિક અને લોકો સાથે જોડાયેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે, જ્યારે ભાજપે આયાતી ઉમેદવારને ટિકિટ આપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે માંજલપુરની જનતા સ્થાનિક ઉમેદવારને જ જીતાડશે. સાથે જ તેમણે કહ્યું કે ભીખા રબારી વિજેતા બન્યા બાદ વિધાનસભામાં વડોદરાના લોકોના પ્રશ્નો અને તેમની વેદનાને મજબૂતીથી રજૂ કરશે.