‘મોદી ગુજરાતના મુખ્યમંત્રી ના હોત તો ગોધરાકાંડમાં લાખો લોકો માર્યા ગયા હોત’, ભાજપના નેતાનો દાવો

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના નેતા શાહનવાઝ હુસેને એક કાર્યક્રમમાં ગુજરાતમાં 2002માં થયેલા રમખાણને યાદ કરતા PM મોદીની પ્રશંસા કરી હતી. શાહનવાઝ હુસેને કહ્યું કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી ના હોત તો ગોધરાકાંડમાં લાખો લોકો માર્યા ગયા હોત.
ભાજપના નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે, ‘મોદીજી 2002માં ગોધરાકાંડ વખતે ગુજરાતના મુખ્યમંત્રી ના હોત તો લાખો લોકો માર્યા ગયા હોત. મોદીજીએ જે રીતે રાજ્યને કંટ્રોલ કર્યું, જે રીતે સંભાળ્યું તેમની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. ઇતિહાસ તેમને યાદ રાખશે. લોકોમાં કેટલો ગમ-ગુસ્સો હતો તેમ છતાં લોકોને સંભાળવાનું તેમને કામ કર્યું. જ્યારે ભીડ હદથી બહાર નીકળી જાય તો સંભાળવામાં તકલીફ પડે છે.’
વધુમાં શાહનવાઝ હુસેને કહ્યું કે, ‘ગોધરામાં કાર સેવક અયોધ્યાથી આવતા હતા તેમને સળગાવી દેવામાં આવ્યા હતા તે દુ:ખદ છે. આજે પણ આ સાંભળીને દુ:ખ થાય છે.’
PM મોદીએ પૉડકાસ્ટમાં સંભળાવ્યો હતો ગોધરાકાંડનો કિસ્સો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૉડકાસ્ટ પર વાતચીતમાં ગોધરા કાંડ પર પણ ખુલીને વાત કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે, ‘2002માં ગોધરા કાંડના સમયે હું વિધાનસભામાં બેઠો હતો ત્યારે ઘટનાની જાણકારી મળી તો મે ગોધરા જવાનો નિર્ણય કર્યો હતો.’PM મોદીએ કહ્યું કે તે સમયે અમારી પાસે હેલિકોપ્ટર નહતું. મે સુરક્ષાકર્મીઓને કહ્યું કે ક્યાકથી હેલિકોપ્ટર લાવો ત્યારે ONGCનું હેલિકોપ્ટર મળ્યું પરંતુ તેને ત્યાં જવાનો ઇનકાર કર્યો કારણ કે તેનું એન્જિન સિંગલ હતું. ONGCએ કહ્યું કે VIPને તેમાં મુસાફરી કરાવી શકાય તેમ નથી. મોદીએ કહ્યું કે હું VIP નથી અને હું લખીને આપું છું કે જો કંઇ થાય છે તો મારી જવાબદારી હશે અને પછી હું ત્યાં ગયો.’PM મોદીએ કહ્યું કે,’ તે સમયે પાંચ જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સ્થિતિ પણ યોગ્ય નહતી. એક મુખ્યમંત્રી તરીકે મેં કહ્યું કે હું પોલીસ કંટ્રોલ રૂમમાં જવા માંગુ છું પરંતુ સિક્યુરિટીએ જવા દીધા નહતા. સુરક્ષાકર્મીઓને આ વાતનો ડર હતો કે કંઇ થઇ ગયું તો, તેમ છતાં મેં કહ્યું કે, હું ત્યાં જઇશ.’
‘સત્ય સામે આવે જ છે’- PM મોદી
મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગોધરાકાંડ પર એક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને જોઇને PM મોદીએ ફિલ્મના વખાણ કર્યા હતા અને સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ કે, ‘સત્ય સામે આવે જ છે’.PM મોદીએ કહ્યું હતું કે, સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, તે પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ તેને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે.