Pakistan: બલૂચ લિબરેશન આર્મીએ પાક. સેનાના વાહનને નિશાન બનાવ્યું, IED બ્લાસ્ટમાં 10 લોકોના મોત

ભારત સાથેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલ પાકિસ્તાન પોતાના જ દેશમાં સતત પડકારોનો સામનો કરી રહ્યું છે. શુક્રવારે બલૂચ લડવૈયાઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ IED નો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ હુમલામાં 10 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારતા એક નિવેદન બહાર પાડ્યું છે. સંગઠનના પ્રવક્તા, જિયાંદ બલોચે જણાવ્યું હતું કે, “આ હુમલો પાકિસ્તાની કબજા હેઠળની સેના સામેના અમારા ચાલુ સંઘર્ષનો એક ભાગ છે.”
હુમલામાં માર્યા ગયેલા સૈનિકોમાં સુબેદાર શહજાદ અમીન, નાયબ સુબેદાર અબ્બાસ, સિપાહી ખલીલ, સિપાહી ઝાહિદ, સિપાહી ખુર્રમ સલીમ અને અન્ય સૈનિકોનો સમાવેશ થાય છે. BLA એ પોતાના નિવેદનમાં કહ્યું, “બલોચ ભૂમિ પર કબજો જમાવી રહેલી સેનાનો સંપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી અમારા ઓપરેશન ચાલુ રહેશે.”
આ પહેલા, 16 માર્ચે, BLA એ બલુચિસ્તાન પ્રાંતમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા.
આ હુમલો નોશકી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાકિસ્તાન આર્મીના ફ્રન્ટિયર કોર્પ્સ (FC) ના કાફલા પર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન સેનાના કાફલામાં ઘુસાડ્યું હતું, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો, Detention of Bangladeshis: ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, સુરત-અમદાવાદમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત