Glacier collapses: ઉત્તરાખંડનાં બદ્રીનાથમાં ગ્લેશિયર તૂટતાં 57 શ્રમિકો ફસાયા, 16ને બહાર કઢાયા

ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તૂટયુ હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનને કારણે 57 મજૂરો બરફ નીચે દટાયા હતા. આ ઘટના ચમોલીના માણા ગામમાં બની હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ટીમ ચમોલી-બદ્રીનાથ હાઈવે પર બરફ હટાવવાનું કામ કરી રહી હતી. તે દરમિયાન ગ્લેશિયર તૂટી પડ્યું હતું અને મજુરો બરફ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 16 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. NDRF, SDRF, ITBP અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ની ટીમો ઘટનાસ્થળે છે. હવામાન વિભાગ 28 ફેબ્રુઆરીની મોડી રાત સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદ (20 CM સુધી)નું એલર્ટ આપ્યું છે.
ઉત્તરાખંડના માણા ગામમાં બરફનો પહાડ ધસી પડ્યો હતો. ઘટનાને પગલે પ્રશાસન અને BRO ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. માહિતી મળતા જ વહીવટીતંત્ર અને BRO ટીમ ઘટનાસ્થળે દોડી ગયા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી વિનોદ સુમને જણાવ્યું હતું કે બરફ પડતાં 57 કામદારો દટાઈ ગયા હતા. જોકે, 16 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ‘ચમોલી જિલ્લાના માના ગામ નજીક BRO દ્વારા ચાલી રહેલા બાંધકામ કાર્ય દરમિયાન ઘણા કામદારો હિમપ્રપાત નીચે દટાયા હોવાના દુઃખદ સમાચાર મળ્યા.’ ITBP, BRO અને અન્ય બચાવ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હું ભગવાન બદ્રી વિશાલને બધા શ્રમિક ભાઈઓની સલામતી માટે પ્રાર્થના કરું છું.