અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે શબનમનું કંકાલ શોધવા ખોદકામ શરુ કર્યું, 35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગરમાં ક્રાઈમ બ્રાન્ચના એક ઓપરેશને સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. 1992માં રહસ્યમય રીતે ગુમ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની યુવતીની હત્યાનું રહસ્ય 35 વર્ષ બાદ ખુલવા જઈ રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોંકાવનારી કડીઓ મુજબ, શબ્નમની હત્યા તેના જ પ્રેમી શમશુદ્દીને કરી હતી. અંગત વિવાદ અને લગ્નેતર સંબંધોમાં આવેલી તિરાડ બાદ આ ‘ક્રાઈમ ઓફ પેશન’ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે શબ્નમની લાશને પોતાના જ ઘરના કૂવામાં દાટી દીધી હતી.
આ કેસમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આટલા વર્ષો બાદ આ રહસ્ય કેવી રીતે બહાર આવ્યું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી શમશુદ્દીનનું તો અવસાન થઈ ચૂક્યું છે, પરંતુ તેના પરિવારજનોને છેલ્લા ઘણા સમયથી ઘરમાં મૃતક શબ્નમનો ભાસ થતો હતો. પરિવારને લાગતું હતું કે શબ્નમનું ભૂત તેમને પરેશાન કરી રહ્યું છે. આ ડર અને માનસિક તણાવથી બચવા તેમણે તાંત્રિક વિધિઓ કરાવી અને અંતે આ ભયાનક સત્ય બહાર આવ્યું કે ઘરના જ કૂવામાં એક લાશ દટાયેલી છે. આ માહિતી પોલીસ સુધી પહોંચતા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક ધોરણે ખોદકામ શરૂ કર્યું હતું.
હાલમાં વટવા ખાતે પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો જમીનમાંથી માનવ અવશેષો અથવા હાડપિંજર મળી આવશે, તો તેનું ડીએનએ (DNA) ટેસ્ટિંગ કરાવવામાં આવશે જેથી તે શબ્નમના જ છે તેની પુષ્ટિ કરી શકાય. ક્રાઈમ બ્રાન્ચ એવા શખ્સોની પણ પૂછપરછ કરી રહી છે જેમણે શમશુદ્દીનને લાશ છુપાવવામાં મદદ કરી હોવાની આશંકા છે. કાયદાના લાંબા હાથ અને કુદરતના અનોખા ન્યાયની આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગમે તેટલા વર્ષો વીતી જાય, પણ પાપ ક્યારેય છુપું રહેતું નથી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PM મોદી ફરી આવશે ગુજરાત, વડોદરામાં નેશનલ હાઈવે પાસે બનેલા સરદારધામનું લોકાર્પણ કરે તેવી શક્યતા