ગુજરાતમાં બે જિલ્લામાં દુષ્કર્મની ઘટનામાં બે આરોપીઓને 20 વર્ષની કેદ, સાબરકાંઠામાં કાઢ્યો વરઘોડો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં ગુજરાતમાં બે શહેરોમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે તેમજ ક્યાંક દુષ્કર્મના આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે.
અરવલ્લી સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજના ઇસરી પંથકની સગીરા પર ભિલોડાના ગલીસીમરો ગામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ રસ્તામાંથી સગીરનું બાઈક પર અપહરણ કરી ઘાસના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
ખેડા જિલ્લામાં પણ એક દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. ખેડા જિલ્લામાં કપડવંજ પોસ્કો કોર્ટએ દુષ્કર્મ કેસમાં કડક ચુકાદો જાહેર કર્યો છે. જેમાં આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. આ મામલે સુનિલ બારૈયા નામના આરોપીને સજા ફટકારવામાં આવી છે જેણે માર્ચ 2023માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કર્યું હતું. આ સાથે કોર્ટે ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
સાબરકાંઠામાં સગીરા પર દુષકર્મ આચરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જો કે પોલીસે તેની ધરપકડ કરી હતી અને બાદમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરટીઓ વિસ્તારમાં રાહુલ પરમાર નામક આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. પાંચેક દિવસ પહેલા માનવ અધિકાર પંચે આ મામલે સુરત પોલીસને નોટિસ આપી હતી જ્યાં નોટિસ વચ્ચે જ હિંમતનગરમાં આરોપીનો વરઘોડો કઢવામાં આવ્યો હતો.