Veraval: તથ્યકાંડ જેવી જ બીજી ઘટના, હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા: 2ના મોત, 7 ઘાયલ

વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ગઈકાલે રાત્રે રાખેજ પાટિયા પાસે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન આ અકસ્માતને લઇ ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકઠું થયું હતું. એ જ સમયે ઓવરસ્પીડમાં વેરાવળથી કોડીનાર તરફ જઈ રહેલા ડમ્પરે રોડની સાઈડમાં અકસ્માત જોવા ઊભેલા પાંચથી વધુ લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગતરાત્રિના લગભગ 9:30 વાગ્યે રાખેજ પાટિયા પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા.
આ દરમિયાન આ અકસ્માતને જોવા માટે ઊભેલા લોકોને કનૈયા એન્ટરપ્રાઈઝના (નંબર GJ11Z9555) પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા. જે અકસ્માતના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યાં છે. આમ એક જ સ્થળ પર એક પછી એક બે અકસ્માત થયા હતા.
કણઝોતર ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અડધો કલાક પહેલાં જ એક અકસ્માત બન્યો હતો. જેમાં એક કાર અને બાઇક અથડાયાં હતાં. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતા.


આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા. તે લોકો ઊભા-ઊભા આ અકસ્માતને જોઇ રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું. જેને પૂરપાટ આવી રહેલા એક ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેથી અકસ્માત જોવા ઊભેલા લોકો તેની નીચે કચડાઇ ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે.આ ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી.આ અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે સાતથી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, અંબુજા કંપનીના મટીરિયલ ભરી પરિવહન કરતાં ડમ્પરો પૂરપાટ પસાર થતા હોય છે અને છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આજની ઘટનાથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કોડીનાર સ્થિત અંબુજા કંપનીનાં ભારે વાહનોના પરિવહનને અટકાવી દેવામાં આવ્યું હતું.
ગ્રામજનોની માગ છે કે, આ કાળમુખા સમાન પુરપાટ ઝડપે પરિવહન કરતાં ડમ્પરોનો કોઈ ઉકેલ લાવવો અને માનવજીવનને સુરક્ષિત કરાવો તેવી માગ ઊઠી છે. હાલ તો આ ગમખ્વાર અકસ્માતના પગલે અરેરાટી પ્રસરી જવા પામી છે. તો બીજી તરફ અકસ્માતના સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યાં છે, જે જોઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો, Rahul Gandhi: રાહુલ ગાંધીનો ગુજરાતનો નવો કાર્યક્રમ જાહેર, રાજ્યના આ બે શહેરોમાં યોજશે સંવાદ