અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ, 250 લોકોના મૃત્યુથી હાહાકાર

રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં તબાહી મચી ગઈ હતી, જેમાં 250 લોકોના મૃત્ય થયા છે તો 500થી વધુ ઘાયલ થયા છે.
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ નંગરહાર પ્રાંતના જલાલાબાદ નજીક હતું અને તેની ઊંડાઈ 8 કિલોમીટર હતી. તે રવિવારે સ્થાનિક સમય મુજબ રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો.
દેશમાંથી આવતા પ્રારંભિક અહેવાલોમાં નવ લોકોના મોત થયા હોવાનું જણાવાયું હતું, જ્યારે અનાદોલુ એજન્સીએ અફઘાનિસ્તાનના માહિતી મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને 500 ઘાયલ થયા છે, જેમાં કુનાર સૌથી વધુ પ્રભાવિત થયું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
અફઘાનિસ્તાનના ક્રિકેટર રહેમાનુલ્લાહ ગુરબાઝે X પર કહ્યું કે, તેઓ આ મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. “અફઘાનિસ્તાનના કુનારમાં આવેલા ભયંકર ભૂકંપથી ખૂબ જ દુઃખી છું. મારી પ્રાર્થનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અલ્લાહ શહીદોને જન્નત આપે, ઘાયલોને સ્વસ્થતા આપે અને બધાને આપદા સહન કરવાની શક્તિ આપે.
અગાઉ, નંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગભગ 20 મિનિટ પછી તે જ પ્રાંતમાં બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 4.5 અને ઊંડાઈ 10 કિલોમીટર હતી.