સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાનો કેપ્ટન બદલાયો, રોહિત શર્માની જગ્યાએ આ ખેલાડીને તક

આવતીકાલે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડીયાના કેપ્ટન બદલાયાં છે. બીસીસીઆઈએ રોહિત શર્માને બદલે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવ્યો છે.
રોહિત શર્માએ હેડ કોચ ગૌતમ ગંભીરને પાંચમી ટેસ્ટ ન રમવાના નિર્ણય વિશે જણાવી દીધું છે. ગંભીરે પણ નિર્ણયમાં હામી ભરી દીધી હતી.
શુક્રવારે ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ રમવાનું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આ છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે જો હાર થઈ તો ટીમ પર ડબલ્યુટીસીમાંથી બહાર થઈ જવાનો પણ ખતરો છે. આવતીકાલે સિડનીમાં રમાનારી અંતિમ ટેસ્ટ પહેલાં ઈજા થઈ હોવાથી ટીમ ઈન્ડીયાના બોલર આકાશ દીપને આરામ આપવામાં આવ્યો છે. હેડ કોચ ગૌતમ ગંભીરે આ વાતની પુષ્ટિ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે આકાશ દીપે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.
ભારત માટે કરો યા મરોની સ્થિતિ
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચ ટેસ્ટમાંથી 2માં ઓસ્ટ્રેલિયાની, 1માં ભારતની અને 1 ડ્રો થઈ છે, અને હવે છેલ્લી મેચ જીતવી ભારત માટે ખૂબ જરુરી છે. જો ભારત જીતે તો બન્ને ટીમ 2-2ની બરાબરી પર આવી શકે છે હારની સ્થિતિમાં ભારતને બેવડો ફટકો પડશે કારણ કે હાર તો થશે જ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલમાંથી પણ બહાર ફેંકાઈ જશે.