માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

કોઈની સાથેના સામાન્ય ઝઘડામાં માત્ર અપશબ્દો (ગાળો) બોલવા કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ કાયદાની નજરમાં ‘અશ્લીલતા’ (Obscenity) ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે અશ્લીલતા અને અભદ્રતા બંને કાયદાકીય રીતે સાવ અલગ બાબતો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 294 હેઠળ કોઈ વ્યક્તિ પર કાર્યવાહી કરવા માટે એ સાબિત થવું જરૂરી છે કે બોલાયેલા શબ્દો જાતીય કામુકતાથી ભરેલા છે અથવા સાંભળનારના મનમાં જાતીય ઉત્તેજના જગાડે છે.

આ મામલો વર્ષ 2017 માં તમિલનાડુમાં થયેલા એક જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક 70 વર્ષીય વૃદ્ધ પર આરોપ હતો કે તેમણે વિવાદ દરમિયાન ફરિયાદીને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધારદાર હથિયાર (બિલહૂક) થી હુમલો કરી તેનું નાકનું હાડકું તોડી નાખ્યું. નીચલી કોર્ટે આરોપીને એસસી/એસટી (SC/ST) એક્ટ અને IPC ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટે તેમને SC/ST એક્ટમાંથી મુક્ત કર્યા, પરંતુ કલમ 294(b) (જાહેર સ્થળે અશ્લીલ શબ્દો બોલવા), 506(II) (ગુનાહિત ધમકી) અને 326 (ખતરનાક હથિયારથી ગંભીર ઈજા) હેઠળ સજા કાયમ રાખી હતી. આખરે અપીલ બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં કલમ 294(b) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, માત્ર કોઈની લાગણીઓને દુભાવવી અથવા ખરાબ ભાષાનો ઉપયોગ કરવો એ કાયદા મુજબ અશ્લીલતા નથી. આ કલમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે:

વપરાયેલા શબ્દો જાતીય સૂચક હોય અને લોકોના નૈતિક ચારિત્ર્યને બગાડવાની વૃત્તિ ધરાવતા હોય.

આ શબ્દો જાહેર સ્થળે બોલાયા હોય.

તેનાથી ત્યાં હાજર અન્ય લોકોને ખરેખર અગવડતા કે માનસિક ત્રાસ થયો હોય.

આ કેસમાં કોર્ટને આવા કોઈ ઠોસ પુરાવા મળ્યા ન હતા, જેથી આરોપીને કલમ 294 હેઠળ દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા.

કોર્ટે ધમકી આપવા (કલમ 506-II) અંગે પણ મહત્વની ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે, ઝઘડા દરમિયાન માત્ર ગુસ્સામાં આવીને આપેલી ધમકી એ ગુનાહિત ધાકધમકી નથી. એ સાબિત થવું જરૂરી છે કે ધમકી આપવા પાછળનો મુખ્ય ઈરાદો સામેવાળી વ્યક્તિમાં ડર પેદા કરવાનો હતો. જોકે, કોર્ટે એ વાત સ્વીકારી કે આરોપીએ હથિયાર વડે ફરિયાદીનું નાક તોડ્યું હતું, જે મેડિકલ રિપોર્ટમાં પણ સાબિત થયું હતું. આથી કલમ 326 હેઠળ તેમને ગંભીર ઈજા પહોંચાડવા બદલ દોષિત ઠેરવવાનો નિર્ણય કોર્ટે માન્ય રાખ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *