RBIનો બમ્પર રેટ ઘટાડો: વ્યાજ દર 0.50% ઘટાડીને 5.50% કર્યો, EMI ઘટશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજ દર 0.50% ઘટાડીને 5.50% કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારી EMI પણ ઘટશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 જૂને સવારે 10 વાગ્યે નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક 4 જૂને શરૂ થઈ હતી.
આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યા હતા. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી નાણાકીય નીતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજ દરમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત દર ઘટાડવામાં આવ્યો છે. એટલે કે, નાણાકીય નીતિ સમિતિએ ત્રણ વખત વ્યાજ દરમાં 1% ઘટાડો કર્યો છે.
દેશમાં માંગ ધીમે ધીમે નબળી પડી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે. જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.