PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ વનતારાની અલગ અલગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વનતારા બે હજારથી વધુ પ્રજાતિઓ અને દોઢ લાખથી વધુ રેસ્ક્યૂ કરવામાં આવેલા લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે.
પીએમ મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. સાથે અલગ અલગ સ્થળોથી રેસ્ક્યૂ ઉપરાંત, તે અલગ અલગ જગ્યાએથી વિવિધ પ્રજાતિઓના બચાવેલા પ્રાણીઓ પાસે ગયા હતા અને તેમને ખવડાવ્યું હતું. વડાપ્રધાને વનતારા ખાતે વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમાં પ્રાણીઓ માટે MRI, CT સ્કેન, ICU અને અન્ય સુવિધાઓ છે અને તેમાં વન્યજીવ એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દાંતની હોસ્પિટલ, ઇન્ટરનલ મેડિસિન વગેરે વિભાગો પણ છે.
પીએમ મોદીએ અહીં વિવિધ પ્રજાતિના સિંહના બચ્ચાઓને વ્હાલ કર્યો હતો. જેમાં એશિયાટિક સિંહના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા, કારાકલ સિંહના બચ્ચા અને ક્લાઉડેડ લેપર્ડના બચ્ચાનો સમાવેશ થાય છે. ક્લાઉડેડ લેપર્ડ એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. પીએમએ જે સફેદ સિંહના બચ્ચાને બોટલથી દૂધ પીવડાવ્યું હતું તેનો જન્મ વનતારામાં થયો હતો. તેની માતાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં એક સમયે કારાકલની સંખ્યા ઘણી વધારે હતી, પરંતુ હવે તે દુર્લભ બની રહી છે. વનતારામાં કારાકલને એક સંવર્ધન કાર્યક્રમના ભાગરૂપે વનતારામાં ઉછેરવામાં આવે છે અને તેમના સંરક્ષણ માટે તેમને કેદમાં રાખવામાં આવે છે અને પછીથી જંગલમાં છોડી દેવામાં આવે છે.
પીએમ મોદીએ હોસ્પિટલના MRI રૂમની મુલાકાત લીધી અને એક એશિયાઈ સિંહનો MRI કરાવતા પણ જોયું હતું. આ ઉપરાંત, તેમણે ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં એક દીપડાની સર્જરી થઈ રહી હતી. હાઇવે પર તેને એક કારે ટક્કર મારી હતી, ત્યારબાદ તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને વનતારા લાવવામાં આવ્યા હતા. અન્ય સ્થળોએથી બચાવેલા પ્રાણીઓને એવા સ્થળોએ રાખવામાં આવે છે જે તેમના કુદરતી રહેઠાણ જેવા હોય છે. વનતારામાં કેટલીક મુખ્ય સંરક્ષણ પહેલોની વાત કરીએ તો તેમાં એશિયાઈ સિંહ, સ્નો લેપર્ડ, એક શિંગડાવાળા ગેંડા વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો,રાજ્યમાં જન્મ મરણની નોંધણી કરાવવી થઈ મોંઘી, સરકારે સીધો 10 ગણો કર્યો વધારો