T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પાકિસ્તાન તૈયાર, પરંતુ રાખી આ 3 વિચિત્ર શરત

T20 વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ 15 ફેબ્રુઆરી ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ પાકો નિર્ણય લેવાયો નથી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની ટીમ ટૂર્નામેન્ટમાં તો ભાગ લેશે, પરંતુ ભારત સામે રમવા મેદાનમાં નહીં ઉતરે.
પાક સરકારના આ એલાન બાદ ભારત-પાકિસ્તાન મેચને લઈને ચર્ચાઓ તેજ બની છે. રવિવારે (08 ફેબ્રુઆરી) ના રોજ કથિત રીતે ICC એ લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે ઈમરજન્સી મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ સામે આવેલા એક રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત સામે મેચ રમવા માટે 3 શરતો રાખી છે, જેમાં ખાસ વાત એ છે કે આ ત્રણેય શરતો બાંગ્લાદેશના હિત માટે છે.
પાકિસ્તાનની 3 મુખ્ય માંગણીઓ:
એક ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને જે શરતો મૂકી છે તેમાં માત્ર બાંગ્લાદેશને ફાયદો થતો દેખાય છે:
- પહેલી શરત: બાંગ્લાદેશ માટે વળતરની (Compensation) રકમ વધારવામાં આવે.
- બીજી શરત: T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવા છતાં બાંગ્લાદેશને ‘પાર્ટિસિપેશન ફી’ (ભાગીદારી ફી) આપવામાં આવે.
- ત્રીજી શરત: ભવિષ્યમાં બાંગ્લાદેશને ICC ઇવેન્ટ્સની યજમાની સોંપવામાં આવે.
જો તમે વિચારી રહ્યા હોવ કે પાકિસ્તાન બાંગ્લાદેશના ફાયદાની વાત કેમ કરી રહ્યું છે, તો તેનું કારણ એ છે કે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી હટી ગયા પછી જ પાકિસ્તાને ભારત સામે ન રમવાનો નિર્ણય લીધો હતો. સરળ શબ્દોમાં કહીએ તો, પાકિસ્તાને બાંગ્લાદેશ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે ભારત સામે રમવાનો ઇનકાર કર્યો હતો.
શનિવારે શ્રીલંકા ક્રિકેટે PCB ને આ મુદ્દા અંગે એક ઇમેઇલ મોકલ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચ ન થવાથી શ્રીલંકા ક્રિકેટને નાણાકીય નુકસાન થશે અને ટુર્નામેન્ટની છબી ખરાબ થશે. શ્રીલંકા ભારત સાથે ટુર્નામેન્ટનું સહ-યજમાન છે.