
ઈઝરાયલની કંપની એનએસઓ ગ્રૂપના જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા પેગાસસ સ્પાયવેર દ્વારા વિશ્વભરમાં જેમને પણ વોટ્સએપના માધ્યમથી નિશાન બનાવવામાં આવ્યા અને જાસૂસી કરવામાં આવી તેમાં ભારત બીજા ક્રમે છે. આ ખુલાસો તાજેતરમાં અમેરિકાની કોર્ટમાં રજુ કરેલા દસ્તાવેજો જાહેર થતા સામે આવ્યો છે.
વોટ્સએપ દ્વારા પેગાસસ સામે અમેરિકાની કોર્ટમાં જાસૂસી બદલ દાવો ઠોકવામાં આવ્યો હતો, જેના છ વર્ષ બાદ અંતે આ ખુલાસો થયો છે. ભારતમાં જ્યારે આ જાસૂસીકાંડ બહાર આવ્યો હતો ત્યારે દેશભરમાં વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવી હોવાના આરોપ થયા હતા.
લોકોની જાસૂસી કરાવવા વિવિધ દેશોની સરકારોને જાસૂસી માટેના સ્પાયવેર પેગાસસને પુરા પાડતી ઈઝરાયલી કંપની એનએસઓ ગ્રૂપ સામે વર્ષ 2019માં વોટ્સએપની મેટા કંપની દ્વારા અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.
વોટ્સએપે તે સમયે ખુલાસો કર્યો હતો કે વોટ્સએપનો ઉપયોગ કરતા અનેક લોકોની પેગાસસ દ્વારા જાસૂસી કરાવવામાં આવી છે. કોર્ટે ઈઝરાયલની આ કંપની પાસેથી જવાબ માગ્યો હતો સાથે જ કહ્યું હતું કે પેગાસસ દ્વારા ખરેખર જાસૂસી થઇ છે, તે સાબિત થાય છે. જેમની પણ જાસૂસી કરવામાં આવી તેની એક યાદી વોટ્સએપ દ્વારા કોર્ટમાં રજુ કરાઇ હતી જે હવે જાહેર થઇ છે. આ દસ્તાવેજો મુજબ પેગાસસનો ઉપયોગ કરીને વિશ્વભરમાં 1223 વોટ્સએપ યુઝર્સની જાસૂસી કરવામાં આવી હતી.
આ ખુલાસા વચ્ચે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને માગણી કરી હતી કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પેગાસસના ઉપયોગથી થયેલી જાસૂસી અંગે તમામ વિગતો આપવી જોઇએ. દિલ્હીમાં પ્રેસ કોન્ફરંસને સંબોધતા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે સ્પષ્ટ થઇ ગયું છે કે પેગાસસનો ઉપયોગ કરીને 100 ભારતીયોના મોબાઇલ હેક કરવામાં આવ્યા હતા. પેગાસસે પણ કોર્ટમાં સ્વીકાર કર્યો છે કે તેણે જાસૂસી માટેનું લાઇસન્સ સરકારને વેચ્યું છે. તેથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં જાસૂસી થઇ હતી પરંતુ સવાલ એ છે કે મોદી સરકાર આ અંગે ક્યારે સ્પષ્ટતા કરશે? શું આના પરથી એ સાબિત નથી થતું કે મોદી સરકાર ભારતમાં જાસૂસી કરવા માટે પેગાસસ લાવી હતી? આ 100 ભારતીયો કોણ છે તેની વિગતો સરકાર જાહેર કરે, કોની અનુમતીથી આ જાસૂસી કરાવવામાં આવી હતી તેનો ખુલાસો કરવામાં આવે.પેગાસસનું લાઇસન્સ ખરીદવા માટે ક્યાંથી રૂપિયા લવાયા હતા અને કોણે પેગાસસનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી
