ભારત–અમેરિકા વેપાર સોદા પર સકારાત્મક સંકેત, ટૂંક સમયમાં આવી શકે છે મોટા સમાચાર

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલા વેપાર સોદાને લઈને હવે સારા સમાચાર મળવાની શક્યતા દેખાઈ રહી છે. વાસ્તવમાં તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
વિગતો મુજબ આ ફોન વાતચીતમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા, સંરક્ષણ અને ઊર્જા સહયોગ જેવા વિષયો પર ખુલ્લી ચર્ચા થઈ. વિદેશ મંત્રી જયશંકરે આ વાતચીતને સકારાત્મક ગણાવી અને જણાવ્યું કે, બંને દેશો આ મુદ્દાઓ પર સતત સંપર્કમાં રહેવા સંમત થયા છે.
અમેરિકાની તરફથી પણ જણાવવામાં આવ્યું છે કે, ભારત સાથે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો અને આર્થિક સહયોગને આગળ વધારવા બંને દેશોની મજબૂત ઇચ્છા છે. આ નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, અટકેલો વેપાર સોદો હવે આગળ વધે તેવી શક્યતા વધી ગઈ છે.