Rajkot: રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર

રાજકોટમાં ફરી એક વાર નબીરાની રફ્તારના કહેરે એકનો જીવ લીધો છે. મળતી જાણકારી અનુસાર, શહેરના મવડી મેઈન રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે વૃદ્ધ સહિત ત્રણને હડફેટે લીધા હતા. જેમાં મોપેડ લઈને પેટ્રોલ પુરાવવા માટે જતા વૃદ્ધ અને દૂધની ડેરીના માલિક પ્રફુલભાઈ ઉનડકટ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક 12 વર્ષની દીકરીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે તેને પણ માથામાં હેમરેજ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો કે અકસ્માત સમયે કાર 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. કારમાં બે યુવક અને બે યુવતી સવાર હોવાનો દાવો કર્યો હતો. જેમાં કાર ચાલકનું નામ ઋત્વિજ પટોડીયા જ્યારે અન્ય યુવકનું નામ ધ્રુવ કોટક હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંન્નેની અટકાયત કરી છે. જો કે બંન્ને યુવક દારૂના નશામાં હોવાનો પણ પ્રત્યક્ષદર્શીએ આરોપ લગાવ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ બે યુવતી ફરાર થઈ હોવાની પણ ચર્ચા છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને ટક્કર પછી તે વૃદ્ધને લગભગ 200 થી 300 મીટર સુધી ઢસડી ગઇ હતી જેના કારણે વૃદ્ધનું મોત થયું હતું. જોકે, સ્થળ પર હાજર લોકોએ કાર ચલાવતા યુવક અને કારમાં સવાર યુવકને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા.
કાર ચલાવનાર યુવક અને કારમાં બેઠેલા અન્ય એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે કારમાં બે યુવકો અને બે યુવતીઓ સવાર હતી. અકસ્માત બાદ બે યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. સ્થાનિકોએ બે યુવકોને પકડી પોલીસને સોંપ્યા હતા. કાર સવાર બંને યુવકો નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો, Ahmedabad: વિજ્ઞાન જાથા અને પોલીસે મળી ભૂવાજીના દાણા જોયા, રાજકોટનો ભૂવો દાણા જોવા મેટોડા આવ્યો ને ઝડપાયો