Mumbai: ડોમ્બીવલીમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો, ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરી શીખવાડવામાં આવ્યા

મુંબઈના ડોમ્બીવલીમાં કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રહ, સુરાપુરા, પિતૃદોષ નિવારણના વિધિ-વિધાન નર્યું તુત-બોગસની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦૬૪ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.

વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદઘાટન જ્ઞાતિ સમાજના હોદ્દેદારો લાલજીભાઈ લધા છાભૈયા, જયંતિલાલ કાનજી શીરવી, હિરાલાલ કરમશી સેંઘાણી, જેન્તીલાલ જેઠા પારસીયા, રવિલાલ અરજણ સેંઘાણી, પ્રવિણભાઈ રામજીભાઈ સેંઘાણી, હેમચંદ ધનજી છાભૈયા, જીતેન્દ્ર જીવરાજ છાભૈયા, રમેશભાઈ લધારામ દડગા, ઈશ્વરભાઈ નારણ રામાણી, જીતેન્દ્ર છગનલાલ રામાણી, નરશી રવજી વેલાણી, હેમલતાબેન રવિભાઈ પારસીયા, જયોતિબેન છાભૈયાની હાજરીમાં અગ્નિનું આપોઆપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

કચ્છ બિદડા કડવા પાટીદાર સમાજના પરિવારોના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોએ વિજ્ઞાન જાથાની જનજાગૃતિ પ્રવૃત્તિ વર્તમાન સમયની માંગ હોય સમાજે જાગૃતતા માટે આયોજન કરેલ છે. સર્વાંગી ઉપયોગી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ચમત્કારિક પ્રયોગોનું નિદર્શન કરતાં જણાવ્યું કે ભારતમાં સદીઓથી માનવી કર્મકાંડ-ક્રિયાકાંડથી પોતાની બરબાદી-પાયમાલી નોતરે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. વિધિ-વિધાનથી બરબાદી, અધોગતિ સહજતાથી પ્રાપ્ત થાય છે તો તેને તિલાંજલિ આપવી જોઈએ. વર્ષોની માનસિકતા બદલવાની જરૂર છે. ગ્રહ, સુરાપુરા કે પિતૃદોષ નિવારણની વિધિઓ સંપુર્ણ બોગસ-નિરાધાર છે. તેનાથી ફાયદો કરતા પાયમાલી મળે છે. શારીરિક, માનસિક, આર્થિક નુકશાની વેઠવી પડે છે. મૃત્યુ પામેલા કદી નડતા નથી જીવતા નજીકના સગા-સંબંધી, મિત્રો જ નડે છે તેનાથી સાવધાની રાખવાની જરૂર છે.

મૃત્યુ પછી શ્રાધ્ધમાં ભેળવવું વિધિ વિગેરે કર્મકાંડ પરંપરા બની ગઈ છે. તેને વર્તમાન સમયમાં ફગાવવી જોઈએ. શ્રાધ્ધ પહોંચવું વિગેરે માનસિકતા સાથે જોડાયેલું છે જે માનસિક રીતે નબળા લોકોને કર્મકાંડ-ક્રિયાકાંડો કરવા પડે છે. દ્રઢ મનોબળ ધરાવતા વ્યક્તિઓને કશું જ નડતું નથી. સકારાત્મક વલણ રાખવાના દ્રષ્ટાંતો આપવામાં આવ્યા હતા. માનતા, ટેક રાખવાથી માનવી પાછલી સદીમાં ધકેલાય જાય છે. નુકશાની, સમય બરબાદી મળે છે. પોતાના પરિવારનો વિકાસ પ્રગતિ રૂંધે છે. બીજી સમસ્યાઓ આપોઆપ ઉભી થાય છે. જન્મકુંડળી મેળવવી, ગ્રહના મંત્ર-જાપ, અદ્રશ્ય શક્તિ, આસુરી શક્તિ, મેલી વિદ્યા, ભૂત-પ્રેત નિવારણના કર્મકાંડ, વિધિઓ, જાત-જાતના નુશ્કાઓ કરવાથી હાનિ વધુ થાય છે. માનસિક આઘાતમાં પરિણમે છે. સદીઓથી લેભાગુઓયેનકેન છેતરપિંડી કરે છે તેથી સાવધાની રાખવાની જરૂર છે. શિક્ષિતો, વેપારીઓ આધુનિક અંધશ્રધ્ધાની લપેટમાં આવી ગયો છે. સમાજને શિક્ષિતોની અંધશ્રદ્ધાથી વધુ નુકશાન પહોંચાડે છે. અશિક્ષિત, ગામડાની અંધશ્રદ્ધા માત્ર પોતાના વિસ્તારની સમીપ હોય છે જયારે આધુનિક અંધશ્રદ્ધા જેટ ગતિએ પ્રસરીને માનવીનો ભોગ લે છે. માનવીને વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણથી લાભ થાય છે. તર્કને વારંવાર પ્રાધાન્ય આપી જીવવું જોઈએ. ભાવિ પેઢીનું ધ્યાન રાખી અનુકરણ કરવું જોઈએ. સોશ્યલ મિડિયામાં આવતી વિવિધ પ્રકારની વાર્તાઓ, કહાની, ચમત્કાર કે નિવારણના ફાયદાઓ માત્ર ગતકડાં ઉભા કરી મોહજાળમાં ફસાવે છે, મોટેભાગે ખોટું હોય છે તેથી ખરાઈ–તપાસ કરવી જોઈએ. જાથા પોતાના અંગત વિચારો રજૂ કરે છે, માનવું-ન માનવું વ્યક્તિએ સ્વતંત્ર નિર્ણય કરવો જોઈએ. પોતાનો વિચાર, સમાજ, રાષ્ટ્રની પ્રગતિ ઉપર ધ્યાન આપવાનો યુગ છે. શિક્ષણ આવતા અંધશ્રદ્ધામાં વધારો થયો તેનું જાથાને દુઃખ છે.

વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે કચ્છના મોટાભાગના પરિવારોએ વર્ષોથી વેપાર માટે બહારના ક્ષેત્રમાં નીકળી ગયા તેથી સર્વાંગી પ્રગતિ મેળવી છે તેમાં પુરૂષાર્થની ભૂમિકા અગ્ર છે ત્યારે વર્તમાન અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. શ્રધ્ધા-માનતા રાખવાથી કશું જ પરિણામ આવતું નથી. વિજ્ઞાન ટેકનોલોજીને અનુસરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર, ફેંગસુઈ, જયોતિષ, ટેરાશાસ્ત્ર, સિગ્નેચર, છાયા વિગેરે ફળકથનો નર્યો બકવાસ છે. મોટાભાગના લોકોને છેતરાયાનો અનુભવ થાય છે. વાસ્તવિકતામાં જીવન જીવવાથી ફાયદાઓ છે. હાથમાંથી રક્ષાપોટલી, હાથના આંગળામાં જુદા જુદા ગ્રહની નંગની વીંટી, લાલ-પીળા, લીલા દોરા હાથમાં બાંધવાથી માનસિક દરિદ્રતા જોવા મળે છે. વ્યક્તિઓ પોતાનો નિર્ણય જાતે કરવો જોઈએ. જયોતિષ ચોપડીના આધારે અનુકરણ કરવાથી બરબાદી જ મળે છે. અનુભવ આધારીત જીવનપદ્ધતિ બનાવવી જોઈએ. કોઈપણ વ્યકિતથી વિશેષ પ્રભાવિત થવાની જરૂર નથી તેમાં ચકાસણી કરવી જોઈએ.

પાટીદાર મહિલા સંગઠનના હેમલતાબેન પારસીયાએ જણાવ્યું કે સમાજના ઉત્કર્ષ માટે વિજ્ઞાન જાથાના કાર્યક્રમ ઉપયોગી હોય આયોજન કર્યું છે. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની જરૂર છે. જ્ઞાતિ-સમાજ માટે લાભપ્રદ સાબિત થશે.
વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, ધૂણવું-સવારીની ડીંડકલીલા, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવવી, બોલતું તાવીજ, હઝરતમાં જોવું, અગ્નિનું આપોઆપ સળગવું, જીભની આરપાર ત્રિશુલ નાખવું, રૂપિયાનો વરસાદ, હાથ-માથા ઉપર દીવા રાખવા, હાથમાં કંકુ–ભસ્મ, લોહી નીકળવું, કાનેથી ચિઠ્ઠી વાંચવી, શ્રીફળમાં ચોટવું-ફરવું, ચૂંદડી નીકળવું, પાણીમાં અગ્નિ થવું વિગેરેનું નિદર્શન કરી પરિવારોને શીખડાવી દેવામાં આવ્યા હતા. જાથાના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, સાહિલ રાજદેવે પ્રયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, તુષાર રાવે આબેહુબ પ્રયોગ નિદર્શન કરી ઉપસ્થિતના દિલ જીતી લીધા હતા.
રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવો.
આ પણ વાંચો, Nepal: નેપાળમાં રાજકીય સંકટ, દેશમાં તણાવ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામુ