Mumbai: દરિયાની વચ્ચે મુસાફરો ભરેલી બોટમાં આગ લાગી, તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ

મુંબઇ પાસે અલીબાગમાં દરિયામાં એક મુસાફરો ભરેલી બોટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બોટમાં 18-20 મુસાફરો સવાર હતા. આગ લાગવાની આ ઘટનામાં બોટ 80 ટકા બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે સદનસીબે બોટમાં 18 થી 20 લોકો હતા તે બધા મુસાફરો સુરક્ષિત છે. બોટનો માલિક સાખર ગામના રાકેશ મારુતિ છે. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક લોકોની મદદથી, બોટને કિનારે લાવવામાં આવી હતી અને આગ ઓલવવાનું કામ ચાલુ છે.
નૌસેનાના અધિકારીએ જણાવ્યું કે અલીબાગ તટથી લગભગ 6થી 7 સમુદ્રી મિલ દૂર રાકેશ ગણની માછલી પકડવાની હોડીમાં આગ લાગી ગઇ. આગ લાગવાની જાણ થતા જ ભારતીય તટરક્ષક દળ અને નૌ સેના દ્વારા તરતજ કાર્યવાહી કરવામાં આવી. બોટમાં સવાર તમામ 18 ચાલક દળના સભ્યો સફળતા પૂર્વક બચાવી લેવાયા હતા. જેમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી. આગ લાગવાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ ઝડપથી ફેલાતાં ક્રૂ મેમ્બર્સમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સ્થાનિકોના સમયસર હસ્તક્ષેપથી બોટને સલામત રીતે ખેંચવામાં મદદ મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે અધિકારીઓ હાલમાં ઘટનાની તપાસ કરી રહ્યા છે.