રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં મુશળધાર, સુરતના અંબિકા 24 ઇંચથી વધુ વરસ્યો, પૂર જેવી સ્થિતિ

 ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની બેટિંગ કરતા અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 7 ઇંચથી વધુ અને 145 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને ખેતીના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.

સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 24.06 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘઈમાં 10.94 ઇંચ અને સુરતના માંગરોળમાં 10.71 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

રાજકોટમાં તમામ તાલુકામાં વરસાદ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાતથી વરસાદી વાતાવરણ રહ્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જસદણમાં સૌથી વધુ 38 મીમી, જ્યારે ઉપલેટામાં સૌથી ઓછો 7 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત લોધિકા 25 મીમી, કોટડા સાંગાણી અને વિંછીયામાં 31-31 મીમી, ગોંડલમાં 29 મીમી અને જામકંડોરણામાં 26 મીમી વરસાદ નોંધાયો છે.

મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બાલાસિનોરમાં 7 ઇંચ વરસાદ, જ્યારે વીરપુર અને લુણાવાડામાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનપુર, કોઠંબા અને સંતરામપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોધરા અને કડાણા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

નવસારી અને ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ચાર કલાકથી વરસાદ ધીમો પડતા લોકોને થોડી રાહત મળી છે. જોકે ગત મોડી રાત સુધીના ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. અંબિકા નદી 38 ફૂટ સુધી પહોંચ્યા બાદ 2.62 ફૂટ ઘટી છે, જ્યારે કાવેરી નદીમાં 5 ફૂટ પાણી ઉતર્યું છે. બીજી તરફ પૂર્ણા નદી છેલ્લા છ કલાકથી 28 ફૂટની સપાટીએ સ્થિર છે, જે હજુ પણ ભયજનક સપાટીથી ઉપર છે.

પૂરના કારણે નવસારી શહેરના ગધેવાન મહોલ્લો, ભેંસતખાડા, રંગુનનગર, મહમદી બંગલો, કાશીવાડી, બંદર રોડ, કાલીયાવાડી, કાછિયાવાડી, રામલામોરા અને શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરનો અંદાજે 30 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. જોકે વરસાદ ધીમો પડતાં પૂરની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.

નવસારી જિલ્લાના વરસાદના આંકડા

સવારે 6 વાગ્યા સુધીના આંકડા મુજબ વાંસદામાં 413 મીમી (17.20 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીમાં 221 મીમી, ખેરગામમાં 220 મીમી, જલાલપોરમાં 177 મીમી, ગણદેવીમાં 148 મીમી અને ચીખલીમાં 134 મીમી વરસાદ નોંધાયો છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે અને હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *