CORONA: ગુજરાતમાં 1000થી વધુ તો દેશભરમાં 6000ને પાર થયા કોરોના કેસ, સાવચેતી ખૂબ જરૂરી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ તરફ અનેક દર્દી સાજા પણ થઈ રહ્યા છે. સમગ્ર દેશમાં ફરી એકવાર કોવિડ દસ્તક આપી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોવિડના કેસ 700 ને વટાવી ગયા છે. એક જ દિવસમાં 42 કોરોના દર્દીઓનો વધારો થયો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 7 કોરોના દર્દીઓના મોત થયા છે. હાલમાં, દેશમાં કોરોનાના 6491 સક્રિય કેસ છે. જોકે અત્યાર સુધીમાં 6861 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે.
મહારાષ્ટ્રમાં કોવિડના કેસ 600 ને વટાવી ગયા છે. કેરળમાં સૌથી વધુ કેસ છે. હાલમાં કેરળમાં 1957 સક્રિય કેસ છે. ગુજરાતમાં 1109 અને પશ્ચિમ બંગાળમાં 747 કેસ નોંધાયા છે. આ કારણે કોવિડ પરીક્ષણો વધારવામાં આવ્યા છે. ઉપરાંત, લોકોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.રાજ્યમાં કોરોનાના કેસમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 235 કોરોનાના નવા કેસ નોંધાયા છે. કોરોનાના 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ એક્ટિવ કેસોની સંખ્યા 1109 પર પોહોંચી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો
- કેરળ
- ગુજરાત
- પશ્ચિમ બંગાળ
- દિલ્હી
- મહારાષ્ટ્ર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી, 2025થી દિલ્હીમાં કોવિડથી 7 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં 2 લોકો મૃત્યુ પામ્યા છે. કર્ણાટકમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે. કેરળમાં 15 લોકો મૃત્યુ પામ્યા છે. મધ્યપ્રદેશમાં 2 લોકો અને મહારાષ્ટ્રમાં 18 લોકો મૃત્યુ પામ્યા છે.