સુરતમાં બેસતા મહિનાનું મહામંગલિક યોજાયું..!!

ગૃહમંત્રી અમિત શાહે સુરતમાં પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લીધા
ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ સુરતના અઠવાલાઈન્સ સ્થિત લાલબંગલા જૈન સંઘ ખાતે પધારીને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના સભ્યો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આસો સુદ એકમના બેસતા મહિનાના મહામંગલિક પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં ગૃહમંત્રીએ ગુરુ ભગવંતોના આશીર્વાદ અને જૈન સમાજના અભિવાદન ઝીલ્યા હતા.
સુરતમાં બેસતા મહિનાના મહામંગલિક પ્રસંગે હજારોની સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજા અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મોક્ષરત્ન સુરીશ્વરજી મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં મહામંગલિક શ્રવણ કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ચતુર્વિધ સંઘ, શ્રેષ્ઠીવર્યો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. મંગલિક બાદ પૂજ્ય ગુરુદેવે પધારેલા સૌ ગુરુ ભક્તોને વાસક્ષેપ કરી આશીર્વાદ આપ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમે સુરતના વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરી દીધું હતું.
અહેવાલ: નવીન દોશી, સુરત
આ પણ વાંચો, શાહરૂખ-વિક્રાંત મેસ્સીને કરિયરનો પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો; ગુજરાતી ફિલ્મ વશને પણ સન્માન