મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યાના સમાચાર છે. આમાંથી 6 દર્દીઓને પરેડ ગ્રાઉન્ડ સ્થિત સેન્ટ્રલ હોસ્પિટલમાં અને 5 દર્દીઓને સેક્ટર-20 સ્થિત સબ સેન્ટર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ 9 દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો છે, જ્યારે 2 દર્દીઓને વધુ સારવાર માટે SRN હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
રવિવારે સેન્ટ્રલ હોસ્પિટલનો 10 બેડનો ICU વોર્ડ હૃદયના દર્દીઓથી ભરાઈ ગયો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બદલાતા હવામાન, ખાસ કરીને વરસાદ અને ઠંડીના કારણે હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મેળા વિસ્તારમાં અને ખુલ્લામાં સમય વિતાવતા ભક્તોને ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.