ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમની જાહેરાત:ગિલ કેપ્ટન, અય્યર અને સિરાજનું કમબેક, વડોદરામાં 11 જાન્યુઆરીએ પહેલી મેચ

ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન શુભમન ગિલનું કમબેક થયું છે. વાઇસ-કેપ્ટન શ્રેયસ અય્યરને શરતી તક આપવામાં આવી છે. તે BCCIની મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા પછી જ રમશે.

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ઈશાન કિશનને તક મળી નથી. વન-ડે સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે.
વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું કમબેક થયું છે. યશસ્વી જયસ્વાલને બેકઅપ ઓપનર તરીકે રાખવામાં આવ્યો છે. આફ્રિકા સામેની ત્રીજી વન-ડેમાં જયસ્વાલે સદી ફટકારી હતી.
મોહમ્મદ સિરાજની વાપસી, શમીને તક નહીં
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટીમમાં પાછો ફર્યો છે. અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણા ટીમના ત્રણ અન્ય ફ્રન્ટ-લાઇન પેસર્સ હશે. નીતિશ કુમાર રેડ્ડી હાર્દિક પંડ્યાનું સ્થાન પેસ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે લેશે. પંડ્યાને પણ બુમરાહ સાથે આરામ આપવામાં આવ્યો છે. મોહમ્મદ શમીને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.