સુરતમાં અનૈતિક સંબંધની આશંકાએ પતિએ કરી પત્નીની હત્યા, લાશ પેટીમાં પુરીને સંતાડી

સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી છે. આ તરફ ગુનાને છુપાવવા માટે લાશને લાકડાની પેટીમાં મૂકી સિમેન્ટથી સીલ કરી દીધી હતી. જોકે આ ઘટના સામે આવ્યા બાદ હવે શહેરમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પતિ વિશાલે પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ ગુનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે લાશને પેટીમાં મૂકી તેના પર સિમેન્ટ ચડાવી દીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. ત્યારબાદ તેણે પત્ની ગુમ થઈ ગઈ હોવાનું નાટક રચી પરિવાર અને પોલીસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાનો ખુલાસો ખૂબ જ ચોંકાવનારા રીતે થયો. આરોપીએ પોતાની કરતૂત અંગેની વિગત એક ચિઠ્ઠીમાં લખી હતી, જે બાદમાં તેના પરિવાર સુધી પહોંચી. આ ચિઠ્ઠીમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને લાશ ક્યાં છુપાવી છે તેની પણ માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતાં લાશ મળી આવી, જેને જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. અનૈતિક સંબંધની શંકા અને ઘરેલુ તણાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જે અંતે આ હત્યાકાંડમાં પરિણમી. આ ઘટના ગત 20 એપ્રિલ આસપાસ બની હોવાનું માનવામાં આવે છે. હત્યાની આ ઘટના પછી આરોપી પતિ ફરાર થઈ ગયો છે અને પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક ટીમની મદદથી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાનીસૌથી દુઃખદ વાત એ છે કે, દંપતીના બે નાનાં બાળકો અચાનક માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *