ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી

ગુજરાતમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો કે ખાખી વર્દીનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના ગૃહમંત્રી ભલે ગુનેગારોને ન છોડવાના અને કડક કાર્યવાહી કરવાના દાવા કરતા હોય, પણ જમીની હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. તાજેતરમાં ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડાવતી બે મોટી ઘટનાઓ સામે આવી છે. પહેલા પાટણમાં ગુંડાઓએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને દોડાવી, તો હવે અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર વિસ્તારમાં પણ દારૂ માફિયાઓ અને ગામલોકોએ ભેગા મળીને પોલીસ જવાનોને ઢોર માર મારીને ઉભી પૂંછડીએ ભાગવા મજબૂર કર્યા છે. આ બંને ઘટનાઓ પોલીસની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.

અમદાવાદ જિલ્લાના નળ સરોવર વિસ્તારમાં આવેલા દુર્ગી ગામમાં સ્થાનિક પોલીસને દારૂના અડ્ડા અંગેની બાતમી મળી હતી. આ બાતમીના આધારે નળ સરોવર ટાઉન પોલીસની એક ટીમ ત્યાં દરોડા પાડવા પહોંચી હતી. પરંતુ ત્યાં પહોંચતા જ સ્થિતિ અચાનક વણસી ગઈ.

દારૂના અડ્ડા પર રેડ પડતા જ ગામના લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને પોલીસ પર જ તૂટી પડ્યા હતા. બુટલેગરો અને ગામલોકોએ ભેગા મળીને 3 જેટલા પોલીસ જવાનોને ઘેરીને એવો ઢોર માર માર્યો કે તેઓ અધમૂઆ જેવા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાનો સામનો ન કરી શકતા અને જીવ બચાવવા માટે પોલીસ કર્મીઓએ ત્યાંથી ભાગવું પડ્યું હતું.

ગામલોકોએ મારેલા આ મારમાં 1 પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો ગામમાં પહોંચી ગયો હતો અને સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિનો માહોલ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ઈસ્કોન ચાર રસ્તા પાસે બેફામ BRTS ચાલકે એક બસ સહિત 4 વાહનોને મારી ટક્કર, સદનસીબે જાનહાની ટળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *