સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ! રેસ્ટોરન્ટનું જમવાનું ખાધા બાદ 5 વર્ષની આર્યાનું મોત, 4ની હાલત ગંભીર

આજના સમયમાં બહારનું ખાવાનું ખાતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વરસાદની સીઝનમાં બહારના ખાણી-પીણીને લઈને અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે. ઘણી વખત આપણે અવારનવાર એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે બહારની ખાવા-પીવાની વસ્તુઓમાં જીવાતો મળી આવે છે અથવા વાસી ખોરાક પીરસવામાં આવતો હોય છે. આવી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થાય છે. તાજેતરમાં સુરતમાંથી પણ આવો જ એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં બહારથી મંગાવેલું જમવાનું એક જ પરિવાર માટે જીવલેણ સાબિત થયું છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે. આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ છે કે પરિવારની માત્ર 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે પરિવારે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી જમવાનું મંગાવ્યું હતું. પરિવારના તમામ સભ્યોએ આ ભોજન લીધા બાદ થોડા જ સમયમાં તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી. એક પછી એક તમામ સભ્યોને ઉલ્ટી, બેચેની અને અન્ય તકલીફો શરૂ થતાં તેમને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ હોવાનું જણાયું હતું.
પરિવારના તમામ પાંચ સભ્યોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન 5 વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાએ સમગ્ર પરિવાર તેમજ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પરિવારના અન્ય ચાર સભ્યો, જેમાં માતા-પિતા અને તેમની બીજી બે દીકરીનો સમાવેશ થાય છે, તેમની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામની હોસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે અને તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે