ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે ખતરનાક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા, 37 એન્ટી માઈક્રોબિયલ દવાઓ પર લદાયો પ્રતિબંધ

Oplus_131072

ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે દૂધ, માંસ અને માછલીના ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો હવે ગુનો બનશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો મુજબ, ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને નબળી જૈવ સુરક્ષા (Bio-security) આ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

83% દર્દીઓ પર દવાની અસર ઓછી

મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ ના રિપોર્ટ અનુસાર, ભારતીય હોસ્પિટલોમાં આવતા 83% દર્દીઓમાં ‘મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ’ બેક્ટેરિયા જોવા મળે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2025 થી 2050 વચ્ચે વિશ્વમાં દર વર્ષે 3.9 કરોડ લોકો AMR ના કારણે જીવ ગુમાવી શકે છે. સામાન્ય શરદી કે તાવમાં અપાતી એન્ટિબાયોટિક્સ હવે ઘણાં દર્દીઓ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

આ પ્રતિરોધક બેક્ટેરિયા માત્ર ખોરાક જ નહીં, પરંતુ પશુઓના મળ-મૂત્ર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતોને પણ દૂષિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સંકટ હવે માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણા જંગલો, નદીઓ અને ખેતરોમાં પણ ફેલાઈ ચૂક્યું છે.

રેઝિસ્ટન્સ ટાળવા શું કરવું?

•ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટિબાયોટિક ન લેવી.

•ખોરાકને બરાબર રાંધીને ખાવો.

•જૈવિક કૃષિ અને પશુપાલન પેદાશોને પ્રાધાન્ય આપવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *