મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. આ વિસ્તારમાં તેમની સુરક્ષા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પીએમના આગમન માટે પાંચ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા હતા. પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને 5500 કરોડ રૂપિયાના 167 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.