ભૂસ્ખલનના ભય વચ્ચે કેદારનાથ યાત્રાને લઇ મોટા સમાચાર, જવાનું વિચારતા હોવ તો…!

કેદારનાથ યાત્રાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં યાત્રાળુઓને રોકવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. જોકે, નદી હજુ પણ ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.

ભૂસ્ખલન બાદ બદ્રીનાથ તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગૌરીકુંડમાં કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી યાત્રા જલ્દી શરૂ કરી શકાય. વાસ્તવમાં ઉત્તરાખંડમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે.

તાજેતરમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું જેમાં કેદારનાથથી પરત ફરી રહેલા 40 થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા. જોકે બાદમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) દ્વારા સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તાર નજીક ફસાયેલા 40 શ્રદ્ધાળુઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. ઘણા ભાગોમાં પાણી પુરવઠો પ્રભાવિત થયો છે. તાજેતરમાં, બારકોટ નજીક વાદળ ફાટવાની ઘટના પણ બની હતી.ઉત્તરાખંડના ચાર જિલ્લાઓ માટે ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વિભાગે 7 અને 8 જુલાઈના રોજ ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશી જિલ્લામાં ભૂસ્ખલનની શક્યતાની આગાહી કરી છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે.

કેદારનાથ યાત્રા એ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થિત કેદારનાથ મંદિરની હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ યાત્રા છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ચાર ધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) નો ભાગ છે. કેદારનાથ મંદિર હિમાલયના ખોળામાં 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને તેને 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *