‘મુખ્યમંત્રી હોય કે મંત્રી…’, PM-CM વાળા બિલને લઈને શું બોલ્યા વડાપ્રધાન મોદી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ગયામાં ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પછી વડાપ્રધાન મોદીએ એક જાહેરસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે વિપક્ષ, ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. જાહેરસભાને સંબોધિત કરવા દરમિયાન પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવિત કાયદાનો પણ ઉલ્લેખ કર્યો, જેના અંતર્ગત વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસથી વધુ સમય માટે કસ્ટડીમાં રહેશે, તો તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર સામેની લડાઈને તેના નિષ્કર્ષ પર પહોંચાડવી હોય, તો કોઈ પણ કાર્યવાહીના દાયરાની બહાર ન હોવું જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું,”આજે કાયદો છે કે જો કોઈ નાના કર્મચારીને 50 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો તે આપમેળે જ સસ્પેન્ડ થઈ જાય છે. ડ્રાઇવર હોય, પ્યૂન હોય કે નાનામાં નાનો કર્મચારી, તેનું જીવન બરબાદ થઈ જાય છે. પરંતુ જો કોઈ મુખ્યમંત્રી છે, મંત્રી છે, કોઈ વડાપ્રધાન છે તો તે જેલમાં રહીને પણ સત્તા સુખ ભોગવી શકે છે. આવું કેવી રીતે થઈ શકે? આપણે થોડા સમય પહેલા જ જોયું છે કે કેવી રીતે જેલમાંથી જ ફાઇલો પર સહીઓ કરવામાં આવી રહી હતી, જેલમાંથી જ આદેશો આપવામાં આવી રહ્યા હતા. નેતાઓનું જો આવું જ વલણ કહેશે તો આવા ભ્રષ્ટાચાર સામે લડાઈ કેવી રીતે લડી શકાશે?’

‘બંધારણ દરેક જનપ્રતિનિધિ પાસેથી પ્રામાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે. આપણે બંધારણની મર્યાદા ભંગ થતા જોઈ શકીએ નહીં. એટલે જ NDA સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક એવો કાયદો લાવી છે જેના દાયરામાં દેશના વડાપ્રધાન પણ છે. આ કાયદામાં મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે આ કાયદો બની જશે, પછી ભલે તે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી, કે કોઈ મંત્રી. તેમને ધરપકડના 30 દિવસની અંદર જામીન લેવા પડશે અને જો જામીન ન મળે તો તેમણે 31મા દિવસે ખુરશી છોડવી પડશે.’

‘શું કોઈ જેલમાંથી સરકાર ચલાવી શકે છે? એટલા માટે અમે આટલો કડક કાયદો બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ RJDના લોકો, આ કોંગ્રેસવાળા, આ ડાબેરીઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ખૂબ ગુસ્સે છે. કોણ નથી જાણતું કે તેમને કઈ વાતનો ડર છે. જેણે પાપ કર્યું હોય છે તે બીજાઓથી પોતાના પાપ છુપાવે છે પણ અંદરથી જાણે છે કે તેણે કઈ રમત રમી છે. આ બધાનો પણ આ હિસાબ છે.’

‘આ આરજેડી અને કોંગ્રેસવાળા જામીન પર બહાર છે, તો કોઈ રેલના ખેલમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. જે જામીન પર બહાર ફરી રહ્યા છે તેઓ આજે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે જો તેઓ જેલમાં જતા રહ્યા તો તેમના બધા સપના ચકનાચૂર થઈ જશે. એટલા માટે સવાર-સાંજ આ લોકો મોદીને પ્રકાર-પ્રકારની ગાળો આપી રહ્યા છે. તેઓ એટલા બઘવાયેલા છે કે તેઓ જાહેર હિતના આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આપણા રાજેન્દ્ર બાબુ અને બાબા સાહેબ આંબેડકરે ક્યારેય વિચાર્યું ન હતું, ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે સત્તાના ભૂખ્યા લોકો ભ્રષ્ટાચાર કરશે અને જેલમાં ગયા પછી પણ પોતાની ખુરશી પર ચોંટી રહેશે, પરંતુ હવે ભ્રષ્ટાચારી જેલ પણ જશે અને તેની ખુરશી પણ જશે. ભારતના ભ્રષ્ટાચાર મુક્ત થવાનો સંકલ્પ દેશના કરોડો લોકોનો છે જે પૂર્ણ થઈને જ રહેશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *