ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલી રદ; વરસાદે AAPનો પ્લાન બગાડ્યો કે પછી પાછળ બીજું કોઈ કારણ?

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આયોજિત કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભારે ચર્ચા જાગી છે. આ અચાનક નિર્ણય પાછળનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કો અને અટકળો ચાલી રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવા પાછળનું સત્તાવાર કારણ વરસાદ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પહેલેથી જ કરી હતી. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે જો વરસાદની આગાહી હતી તો આટલા મોટા કાર્યક્રમનું આયોજન શા માટે કરવામાં આવ્યું? આ કાર્યક્રમ માટે હજારો ખેડૂતો અને AAPના કાર્યકરો દૂર-દૂરથી આવવાના હતા. જો કે, છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ થવાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.
આ મોકૂફી પાછળ રાજકીય ગણતરીઓ પણ હોઈ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે AAPને કદાચ ધાર્યા મુજબ ખેડૂતોનો ટેકો નહીં મળ્યો હોય, અથવા કાર્યક્રમની સફળતા અંગે શંકા હોય, તેથી વરસાદને બહાનું બનાવીને કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. આનાથી AAPની છબીને ઓછું નુકસાન થશે. જોકે, AAPના નેતાઓ આ વાતને નકારી રહ્યા છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ખેડૂતોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો, બોપલમાં દિવાલ ધરાશાયી, ત્રણ કાર કન્સ્ટ્રક્શન સાઈટમાં ખાબકી