અમદાવાદીઓ મુસાફરી માટે કરી લેજો અગાઉથી વ્યવસ્થા: 7થી 10 સપ્ટેમ્બર રિક્ષાના પૈડાં થંભી જશે, જાણો શું છે મોટું કારણ

અમદાવાદીઓ મુસાફરી માટે અગાઉથી વ્યવસ્થા કરી લેજો. કારણ કેઅમદાવાદમાં આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા અને ટેક્સીના પૈડાં થંભી જવાની સંભાવના છે, જેના કારણે મુસાફરોએ અગાઉથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી પડશે. ઓનલાઈન કેબ એગ્રીગેટર કંપનીઓના વિરોધમાં શહેરના રિક્ષા યુનિયનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં રિક્ષા યુનિયનોનું એલાન. ‘રોજગાર બચાવ આંદોલન’ હેઠળ ચાર દિવસ બંધનું એલાન.
ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઈન કંપનીઓ દ્વારા રિક્ષાચાલકોના શોષણનો આરોપ લાગ્યો છે. સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદેસર ટુ-વ્હીલર સામે કાર્યવાહી માંગ કરવામાં આવી છે. સરકારના પરિપત્ર છતાં ટુ-વ્હીલર ચાલુ હોવાનો આરોપ. વિરોધમાં રિક્ષાચાલકોએ વાહનો પાછળ પોસ્ટર લગાવ્યા. 7થી 10 સપ્ટેમ્બર રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો વાહન બંધ રાખશે…
શોષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આક્ષેપ
‘રોજગાર બચાવ આંદોલન’ હેઠળ પુકારવામાં આવેલા આ ચાર દિવસીય બંધ પાછળ મુખ્ય કારણો ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી ઓનલાઈન કંપનીઓ દ્વારા રિક્ષાચાલકોનું થતું કથિત શોષણ છે. યુનિયનોનો આરોપ છે કે આ કંપનીઓ મનમાની કરે છે અને નિયમો વિરુદ્ધ કામ કરી રહી છે. આ ઉપરાંત, સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર વાહનોનો ગેરકાયદેસર રીતે ટેક્સી તરીકે ઉપયોગ અટકાવવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવા છતાં ગેરકાયદેસર ટુ-વ્હીલર સેવાઓ બેરોકટોક ચાલુ રહેતા ડ્રાઇવરોમાં રોષ ફેલાયો છે.
આ વિરોધ પ્રદર્શનને વધુ વેગ આપવા માટે રિક્ષા અને ટેક્સી ડ્રાઇવર સંગઠનો દ્વારા ગત 27 ઓગસ્ટ 2026ના રોજ વાહન વ્યવહાર કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિરોધ નોંધાવવા માટે શહેરમાં રિક્ષા પાછળ જાગૃતિ અને વિરોધ દર્શાવતા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. આગામી 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનોના એલાનને પગલે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.